Gujarat Election 2022 : તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી બહિષ્કાર કરનારા ખેરાલુ તાલુકાના 4 ગામ આ વખતે પણ નહીં કરે મતદાન, જાણો કારણ
Gujarat assembly election 2022: મતદારોને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. જો કે ચૂંટણી વખતે જ મત માગવા આવી પડતા નેતાઓ સામે કેટલાક સ્થળે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક ગામોમાં લોકો રીતસરના ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયુ છે. ત્યારે હવે રાજકીય પક્ષો બીજા તબક્કાની બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કાનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. જો કે ચૂંટણી વખતે જ મત માગવા આવી પડતા નેતાઓ સામે કેટલાક સ્થળે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક ગામોમાં લોકો રીતસરના ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે.
ગુજરાત ઇલેક્શન 2022: પાણીના પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનોમાં રોષ
મહેસાણાના ખેરાલુ તાલુકાના 4 ગામો આ વખતે પણ નહીં કરે મતદાન. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેલા 4 ગામોએ વિધાસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો છે. પાણીના પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયેલો છે. અગાઉ અનેક વાર રજુઆત કરવા છતા પણ તેમની સમસ્યાનો હલ થતો નથી. ત્યારે હવે ગામના તળાવ સંપૂર્ણ ન ભરાય અને રૂપેણ નદી જીવંત ન થાય ત્યાં સુધી મતદાન ન કરવાનો ગ્રામજનોએ સંકલ્પ લીધો છે. જે ચાર ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તેમાં વરેઠા, ડાવોલ, મહેકુબપુરા અને ડાલીસણાનો સમાવેશ થાય છે. આ ચાર ગામોએ એક પણ રાજકીય પક્ષને મત નહીં આપવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત ઇલેક્શન 2022: પ્રથમ તબક્કામાં પણ કેટલાક ગામે કર્યો ચૂંટણી બહિષ્કાર
પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માગણી હતી. આ કારણોસર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારના સામોટ ગામમાં કુલ 1625 મતદારો છે. સમોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ બાબત નીતિવિષયક હોઈ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને મતદાન કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો, છતાં ગ્રામજનો મતદાનથી દૂર રહ્યા હતા.