ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન છે. જો કે એ પહેલા ભાજપ અને કોંગ્રેસ પર હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલ રાતથી ગુમ કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી સાંઢુલી ગામ પાસેથી પોલીસને મળી આવ્યા છે. કાંતિ ખરાડી બનાસકાંઠાના દાંતામાં ગઇકાલે કોંગ્રેસના કાર્યકરો સાથે ગયા હતા. જે પછી તેઓ ગુમ થયા હતા. ત્યારે અંતે તે પોલીસને મળી આવ્યા છે. જે પછી કાંતિ ખરાડીએ તેમના પર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાતા તેઓ બચવા માટે જંગલમાં સંતાઇ ગયા હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે હુમલાની ફરિયાદ મળ્યાના 4 કલાકમાં જ પોલીસ કાંતિ ખરાડી સુધી પહોંચી ગઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલો થયાનો આક્ષેપ થયો છે. પોલીસે કાંતિ ખરાડીને શોધ્યા બાદ તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. કાંતિ ખરાડીએ આક્ષેપ કર્યો છે કે તેમની સામે ઊભેલા ભાજપના ઉમેદવાર અને તેમના કાર્યકરો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમની કાર સાથે કાર અથડાવી છ જેટલી કારના કાચ પણ તોડવામાં આવ્યા હતા.કાંતિ ખરાડીએ જણાવ્યુ હતુ કે, લાઘુ પારઘી પોતે તલવાર લઈને નીકળ્યો હતો. એલકે બારડ અને વદન સહિત 100 લોકોનું ટોળું હતું. જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને કાંતિ ખરાડીનું અપહરણ થયાનો દાવો કર્યો હતો. કાંતિ ખરાડીને ભાજપ દ્વારા ધાક ધમકી અપાતી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. કાંતિ ખરાડીએ પણ તેમને ધમકી મળ્યા અંગે કલેકટર, એસપી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને જાણ કરી હતી. છેલ્લા ઘણા દિવસોથી કાંતિ ખરાડી સુરક્ષાની માંગણી કરતા હતા. જે પછી જિલ્લા પોલીસ વડા સહિતની ટીમો MLA કાંતિ ખરાડીને શોધવા કામે લાગી હતી. જો કે ગઇકાલે રાતથી MLA કાંતિ ખરાડીના બંને મોબાઈલ સ્વીચ ઓફ આવતા મુશ્કેલીઓ વધી હતી.
કાંતીભાઈ ખરાડી દ્વારા લખેલ પત્ર જેમાં એમણે હુમલો થવાની આશંકા વ્યક્ત કરી હતી. છતા પણ તંત્રએ કોઈ જ સુરક્ષા પુરી પાડી નહીં અને આજે એમના પર હુમલો થયો. બેદરકારી દાખવનાર અઘિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? @dgpgujarat @GujaratPolice @ECISVEEP pic.twitter.com/XX7NgIwWeT
— Jignesh Mevani (@jigneshmevani80) December 4, 2022
બીજી તરફ કાંતિ ખરાડીના આરોપ પર ભાજપ ઉમેદવાર લાઘુ પારઘીએ પલટવાર કર્યો છે. ભાજપના ઉમેદવાર લાઘુ પારઘીએ કાંતિ ખરાડીએ તેમના પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.લાઘુ પારઘીએ જણાવ્યુ હતુ કે, હું દાંતા ભાજપ કાર્યાલયથી મારા ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં કાંતિ ખરાડીની 25 જેટલી ગાડીઓ સામે આવી ગઈ હતી અને મારી ગાડીને ટક્કર મારીને તોડી નાખી. તેઓ ધોકા અને તલવારો લઈને મારવા આવ્યા હતા.