ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. હવે બીજા તબક્કા માટે ધુંઆધાર પ્રચાર ચાલી રહ્યો છે. આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં ભવ્ય રોડ શો કરશે વડોદરાની 10 વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. બપોરે 4 કલાકે અમિત શાહના રોડ શોનો પ્રારંભ થશે. જે બાદ ચોખંડી, માંડવી, ચાંપાનેર, અડાણિયા પુલ ચાર રસ્તા અને કોયલી ફળિયાથી નીકળી જ્યુબેલી બાગ ખાતે પૂર્ણ થશે. વડોદરાની 10 વિધાનસભા બેઠકો પૈકી મોટાભાગની બેઠકોને આ રોડ શો દરમિયાન આવરી લેવાશે અને બીજા તબક્કાના મતદાન માટે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે.
ગૃહમંત્રી અમિત શાહે મહેસાણાના વિસનગરમાં ચૂંટણીસભા સંબોધી હતી. આ દરમિયાન અમિત શાહે ઋષિકેશ પટેલને મંત્રી બનાવવાનો આડકતરો ઇશારો કર્યો હતો. વિસનગર ખાતે અમિત શાહે જણાવ્યું કે ગુજરાતમાં ટ્રિપલ એન્જિનની સરકાર બનશે. ઋષિકેશ પટેલને જીતીને મોકલશો એટલે તમને સીધે સીધો તૈયાર મંત્રી મળી જશે.
કોંગ્રેસને આડે હાથે લેતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે દેશમાં 70 વર્ષથી વધુનું શાસન કર્યુ પણ જમ્મૂ કાશ્મીરમાં 370ની કલમ યેનકેન પ્રકારે નાબૂદ ના કરી. જવાહરલાલ નેહરૂની એક ભૂલ દેશે વર્ષો સુધી ભોગવી પણ નરેન્દ્ર મોદી સરકારે 5 ઓગસ્ટ 2019એ જમ્મૂ કાશ્મીરમાંથી 370ની કલમ અને 35એની કલમ હટાવી. જ્યારે હું કલમ 370 નાબૂદ કરવાનું બિલ રાજ્યસભામાં લઈને ગયો ત્યારે કોંગ્રેસ, સપા, બસપા, ટીએમસી અને અન્ય વિરોધ પક્ષોએ મોટો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કલમ નાબૂદ કર્યા બાદ કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે પણ આજે મોદી સરકારને કલમ નાબૂદ કર્યાને 3 વર્ષ થયા પણ જમ્મૂ કાશ્મીરમાં એક કાંકરી પણ ઉડાડવાની કોઈની હિંમત થઈ નથી.
અમિત શાહે જણાવ્યું કે તમે બકાજીને ચૂંટીને એક વાર મોકલી દો, કલોલ મતવિસ્તારને આખા ગુજરાતમાં એક નંબરનો મતવિસ્તાર બનાવીશ. તેનો હું તમને વિશ્વાસ આપું છું. તેમને જણાવ્યું વધુમાં કે દેશ આઝાદ થયો ત્યારથી વર્ષ 1990-95 સુધી ગુજરાતમાં કોંગ્રેસે રાજ કર્યુ પણ ગુજરાતના વિકાસનું કોઈ ઠેકાણું નહતું. રોડ-રસ્તા, વિજળી અને પાણીના કોઈ ઠેકાણા કોંગ્રેસના રાજમાં નહતા. ત્યારબાદ 2001માં નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા અને વર્ષ 2003-04માં રાજ્યમાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત અમારી સરકારે કરી છે.