ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતનારા કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો. કોંગ્રેસના નેતાઓના પક્ષપલટાથી મતદારોમાં પણ નારાજગી જોવા મળી હતી. તેની આ ચૂંટણીમાં કોઈ અસર ન થાય તે માટે જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરિયાએ અનોખુ સોગંધનામુ રજૂ કર્યુ.
મનોજ કથિરીયાએ પાંચ વર્ષ સુધી પક્ષ પલટો ન કરવાની કે રાજીનામું ન આપવાની લેખિતમાં મતદારોને ખાતરી આપી છે. આ ઉપરાંત ધારાસભ્યોને મળતા પગાર, ભથ્થા સહિતની કોઈ સવલત ન લેવાની પણ બાંહેધરી આપી. મનોજ કથિરીયાએ કહ્યું કે હું કમાવવા માટે નહીં, પરંતુ વેપાર-ધંધો છોડીને પ્રજાની સેવા માટે રાજકારણમાં આવ્યો છું. ઉલ્લેખનીય છે કે જામનગર દક્ષિણ બેઠકથી ભાજપના દિવ્યેશ અકબરી મેદાને છે.
જો કે જેમને રાજનીતિનો રંગ લાગ્યા બાદ પછી પોતાના વચનો કેટલા પાળે છે તે તો જનતા બરાબર સમજે છે. રાજકારણ અને સત્તાનો જંગ ક્યારેક એવા રંગ દેખાડે છે કે જેમાં પરિવારની એક્તામાં પણ ભંગ પડે છે. આવુ જ જામનગરની ઉત્તર બેઠક પર જોવા મળે છે. જ્યાં ભાજપમાંથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ રિવાબાના નણંદ નયબા જાડેજા કોંગ્રેસમાં હોવાથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પ્રચાર કરી રહ્યા છે.
નણંદ ભોજાઈ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક ટકરાવ બાદ રિવાબા સસરા અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ રિવાબા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જેમાં તેમણે વીડિયો જાહેર કરી કોંગ્રેસના ઉમેદવારને મત આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું મારા નાના ભાઈ અને કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે જામનગરની જનતા તેમને બહુમતીથી જીતાડે.
જામનગર ઉત્તરમાં ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને નડે એવી શક્યતા છે. જામનગર ઉત્તરમાં ભાજપના રિવાબાની સ્થિતિ મજબૂત છતાં અંદરખાને ક્ષત્રિય સમાજની નારાજગી નડી શકે છે. જામનગર દક્ષિણમાં ભાજપના દિવ્યેશ અકબરી મજબૂત સ્થિતિમાં છે. જામનગર ગ્રામ્યમાં AAP-કોંગ્રેસને કારણે ભાજપના રાઘવજી માટે જીત સરળ મનાય છે.