જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ કેન્દ્રીય નેતાઓના પ્રવાસ સતત વધી રહ્યા છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં (Ahmedabad) ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગાંધીનગર (Gandhinagar) પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરના રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિરે આવી પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાનને વરદાયિની માતાના ચરણોમાં શીશ ઝુકાવીને આરતીમાં પણ ભાગ લીધો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિરના સુવર્ણ જડિત ગર્ભ ગૃહ અને દ્વારને અમિત શાહના હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. અમિત શાહે રૂપાલ ગામને આદર્શ ગામ હેઠળ દત્તક લીધું છે. તેથી તેઓ ઘણીવાર આ મંદિરમાં દર્શન માટે આવતા રહેતા હોય છે અને ગામની પણ મુલાકાત લે છે. અમિત શાહના પ્રયત્નથી રૂ. 5 કરોડની ગ્રાન્ટ વરદાયિની માતાના મંદિરના જીર્ણોદ્ધારમાં આપવામાં આવી છે.
ગાંધીનગરના રૂપાલ ગામમાં સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતા મંદિર પરિસરમાં નવનિર્મિત સુવર્ણ ગર્ભગૃહના ઉદ્ઘાટન પ્રસંગે માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરવાનું સૌભાગ્ય મળ્યું.
માતાજી સૌની મનોકામના પૂરી કરે અને સૌને સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરે.
જય માતાજી!. pic.twitter.com/MNW17NzkI0
— Amit Shah (@AmitShah) September 27, 2022
આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર જિલ્લાના કલોલમાં પહોંચ્યા હતા. કલોલમાં અમિત શાહે KRIC કોલેજ દ્વારા નિર્માણ પામનારી 750 બેડની આધુનિક હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યુ હતુ. કલોલમાં હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા હતા. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસના નેતા જ્યારે રાજ કરતા હતા. ત્યારે માત્ર રૂપિયા બનાવવામાં જ વ્યસ્ત હતા. PM મોદીના આવ્યા બાદ પરિસ્થિતિ સુધરી અને મેડિકલ કોલેજોની સંખ્યા પણ વધી. 8 વર્ષના ટૂંકાગાળામાં આરોગ્ય ક્ષેત્રે સુવિધા વધારવામાં આવી છે તથા મોદી સરકારે 22 નવી AIIMS બનાવવાની યોજના પણ શરૂ કરી છે.
સોમવારે પણ નર્મદા યોજનાને લઈ ગૃહપ્રધાન અમિત શાહે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ. અમદાવાદના બાવળામાં ઋણ સ્વીકાર કાર્યક્રમ દરમિયાન અમિત શાહે કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે- કૉંગ્રેસીયાઓએ 1964થી નર્મદા યોજનાને ટલ્લે ચઢાવી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા બાદ ભગીરથ બનીને નર્મદા યોજનાને અમદાવાદ જિલ્લા સુધી પહોંચાડી હતી. તેમણે કહ્યું કે- અનેક વર્ષોથી જુદી-જુદી યોજનાઓની ભાંજગડમાં આ વિસ્તારના 164 ગામો સંપૂર્ણ સિંચાઈ વ્યવસ્થાથી બાકાત રહી ગયા હતા.. આ તમામ ગામોમાં પાણી નહીં પરંતુ સાક્ષાત લક્ષ્મી મોકલવાનું કામ સરકારે કર્યું છે. ગુજરાત સરકારે 164 ગામના 69 હજાર 632 હેક્ટરના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.