બંગાળમાં ખીલ્યું કમળ…! વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, PM મોદીનું પહેલું રિએક્શન આવ્યું સામે

BJP એ પશ્ચિમ બંગાળ અને અસમની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાને આ વિજયને જનતાની શક્તિ અને સુશાસનની રાજનીતિની જીત ગણાવીને બંને રાજ્યોના નાગરિકો તેમજ કાર્યકર્તાઓનો આભાર માન્યો છે.

બંગાળમાં ખીલ્યું કમળ...! વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, PM મોદીનું પહેલું રિએક્શન આવ્યું સામે
| Updated on: May 04, 2026 | 6:54 PM

પશ્ચિમ બંગાળ અને અસમમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત પર હવે પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ અસમ અને પશ્ચિમ બંગાળમાં જીત બદલ તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે. પોતાની એક્સ (X) પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે, પશ્ચિમ બંગાળમાં કમળ ખીલી ઉઠ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 2026ની ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. જનતાની શક્તિની જીત થઈ છે અને ભાજપની સુશાસનની રાજનીતિ વિજયી બની છે. હું પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને નમન કરું છું.

ભાજપને જનતાએ આપ્યો શાનદાર જનાદેશ

તેમણે આગળ લખ્યું કે, ‘જનતાએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને હું તેમને વિશ્વાસ અપાવું છું કે, અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના તેમજ આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરશે. અમે એવી સરકાર આપીશું, જે સમાજના તમામ વર્ગો માટે તક અને સન્માન સુનિશ્ચિત કરે.’

બંગાળમાં જીત એ કાર્યકર્તાઓના સંઘર્ષનું પરિણામ: PM મોદી

પોતાની પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત કાર્યકર્તાઓના પ્રયાસો અને સંઘર્ષો વિના શક્ય ન હોત. હું તે તમામને સલામ કરું છું. વર્ષોથી તેમણે પાયાના સ્તરે સખત મહેનત કરી છે, તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને અમારા વિકાસના એજન્ડા વિશે વાત કરી છે. તેઓ અમારી પાર્ટીની તાકાત છે.’

વડાપ્રધાને આસામની જનતાનો આભાર માન્યો

બીજી તરફ, આસામ વિધાનસભા ચૂંટણીમાં જીત અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું કે, ‘અસમે ફરી એકવાર ભાજપ-એનડીએને આશીર્વાદ આપ્યા છે. અસમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએની જીત અમારા ગઠબંધનના વિકાસ અને જનજીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ પ્રત્યે અતૂટ સમર્થન દર્શાવે છે. હું અસમના મારા તમામ ભાઈઓ અને બહેનોને આ શાનદાર જનાદેશ બદલ આભાર માનું છું. હું તેમને એ પણ ખાતરી આપું છું કે, અમે રાજ્યના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું.’

અમારા સકારાત્મક એજન્ડાએ જનતાના દિલમાં સ્થાન બનાવ્યું: PM મોદી

પીએમ મોદીએ અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, ‘હું અસમની જનતા વચ્ચે અથાગ પરિશ્રમ કરનારા તમામ ભાજપ-એનડીએ કાર્યકર્તાઓની પ્રશંસા કરું છું. છેલ્લા એક દાયકામાં અમારી પાર્ટી અને ગઠબંધનની પ્રગતિ પ્રશંસનીય છે. તેમના પ્રયાસોથી જ અમારો સકારાત્મક એજન્ડા જનતાના દિલમાં સ્થાન બનાવી શક્યો છે.’

પીએમ મોદીએ પુડુચેરીના કાર્યકર્તાઓના વખાણ કર્યા

સાથે જ, પુડુચેરીના એનડીએ કાર્યકર્તાઓના વખાણ કરતા પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, ‘મને પુડુચેરીના એનડીએ કાર્યકર્તાઓ પર ખૂબ ગર્વ છે, જેમણે પાયાના સ્તરે અસાધારણ પ્રયાસો કર્યા છે. તેઓ સતત જનતાની વચ્ચે રહ્યા છે અને અમારા વિઝન તથા સિદ્ધિઓ વિશે વિગતવાર જણાવ્યું છે. આ જ કારણ છે કે, જનતાએ અમને ફરી એકવાર આશીર્વાદ આપ્યા છે.’

સત્તા વધી પણ સંપત્તિ ઘટી ! શુભેન્દુ અધિકારીના સોગંદનામાએ સૌને ચોંકાવ્યા, જાણો કેટલી છે બંગાળના દિગ્ગજ નેતાની કુલ મિલકત

Published On - 6:54 pm, Mon, 4 May 26

Follow Us