વિદ્યાર્થીઓની સંખ્યાને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધશે દબાણ, EWSના નિર્ણય પર બોલ્યા એક્સપર્ટ
સામાન્ય કેટેગરીમાં, આર્થિક રીતે નબળા વિભાગ (EWS)ના લોકો માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે 10% અનામત 2019માં રજૂ કરવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલત દ્વારા સામાન્ય વર્ગમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) લોકો માટે 10% અનામતને સમર્થન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, શિક્ષણવિદો અને દેશની ઘણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs)ના અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે તેમના અભિપ્રાય આપ્યા. શિક્ષણવિદો અને અધિકારીઓએ જણાવ્યું હતું કે EWS Quotaના અમલીકરણ પર કોઈ અસર થશે નહીં, જે 2019થી જ લાગુ કરવામાં આવ્યો છે. જો કે, તેમણે ભાવિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી કારણ કે EWS Quotaને કારણે વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં વધારો થયો છે.
IIT-દિલ્હીના ડાયરેક્ટર રંગન બેનર્જીએ કહ્યું કે, સંસ્થા પહેલાથી જ ક્વોટા હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી રહી છે. “EWS ક્વોટા લાગુ કરવાની રીતમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ આપણે સમજવું જોઈએ કે વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં સમય લાગે છે. અમે હોસ્ટેલ અને વિભાગોમાં રૂમની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ આમ કરવામાં થોડો સમય લાગશે.
શૈક્ષણિક સંસ્થાઓ કરશે પડકારોનો સામનો
IIT-બોમ્બેના અધિકારીઓએ પણ બેનર્જીના નિવેદનને સમર્થન આપ્યું હતું. સંસ્થાના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “IIT-Bombay એ ક્વોટાનો સંપૂર્ણ અમલ કર્યો છે. જો કે, સંસ્થા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારોનો પણ સામનો કરી રહી છે.
દિલ્હી યુનિવર્સિટી (DU)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મર્યાદિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે વધારાના વિદ્યાર્થીઓને સમાવવાના પડકારો આ વર્ષે પણ જોવા મળશે. DUની આર્યભટ્ટ કોલેજના પ્રિન્સિપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, ‘જો કોર્ટે ક્વોટા નાબૂદ કર્યો હોત તો તેની અમને અસર થઈ હોત. જો કે, અમે જે કંઈ પણ કરી રહ્યા છીએ, અમે તેના માટે અમારી મંજૂરી મેળવી લીધી છે.
EWS ક્વોટા શું છે?
જાન્યુઆરી 2019માં, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારે સામાન્ય શ્રેણીમાં EWS સભ્યો માટે નોકરીઓમાં 10% અનામત અને ઉચ્ચ શિક્ષણની માંગ કરતો કાયદો પસાર કર્યો હતો. ત્યારબાદ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 14 જાન્યુઆરી, 2019ના રોજ એક ગેઝેટ નોટિફિકેશન દ્વારા બંધારણ (103મો સુધારો) અધિનિયમ, 2019ને સૂચિત કર્યું.
આ કાયદો એક કલમ ઉમેરીને બંધારણની કલમ 15 અને 16માં સુધારો કરે છે, જે રાજ્યોને નાગરિકોના કોઈપણ આર્થિક રીતે નબળા વર્ગના વિકાસ માટે ‘વિશેષ જોગવાઈઓ’ કરવાની મંજૂરી આપે છે.
આ ‘વિશેષ જોગવાઈઓ’ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પ્રવેશ સાથે સંબંધિત હશે, પછી ભલે તે રાજ્ય દ્વારા સહાયિત હોય કે બિનસહાયિત હોય. 10 ટકા અનામતને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં 2,14,766 વધારાની બેઠકો બનાવવાની મંજૂરી આપી છે, જેથી કરીને અન્ય વર્ગના લોકોને આપવામાં આવેલા આરક્ષણને અસર ન થાય.
આ માટે 4,315 કરોડ રૂપિયાનું બજેટ પણ રાખવામાં આવ્યું હતું. 2019થી લોકોને આ ક્વોટા હેઠળ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને લોકોને નોકરી પર રાખવામાં આવી રહ્યા છે.