Gujarat Budget 2026-27: શિષ્યવૃત્તિથી આવાસ સહાય સુધી, સામાજિક ન્યાય વિભાગને ઐતિહાસિક ફાળવણી

વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ યોજનાઓમાં મહત્વપૂર્ણ ફાળવણી કરવામાં આવી છે. પી.એમ. યશસ્વી પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9.75 લાખ વિદ્યાર્થીઓ માટે ₹630 કરોડ ફાળવાયા છે.

Gujarat Budget 2026-27: શિષ્યવૃત્તિથી આવાસ સહાય સુધી, સામાજિક ન્યાય વિભાગને ઐતિહાસિક ફાળવણી
Gujarat Budget 2026 27
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:26 PM

ગુજરાત બજેટ 2026-27માં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹7086 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સમાજના જરૂરિયાતમંદ અને પછાત વર્ગોને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે.

વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય

વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ યોજનાઓમાં મહત્વપૂર્ણ ફાળવણી કરવામાં આવી છે. પી.એમ. યશસ્વી પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9.75 લાખ વિદ્યાર્થીઓ માટે ₹630 કરોડ ફાળવાયા છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 36 લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹617 કરોડની જોગવાઈ છે. અનુસૂચિત જાતિના 1.45 લાખ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ₹296 કરોડ ફાળવાયા છે.

₹24 કરોડની શિષ્યવૃત્તિ ફાળવણી

વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વ્યક્તિદીઠ ₹15 લાખ સુધી 4 ટકાના વ્યાજદરે લોન આપવા ₹135 કરોડ ફાળવાયા છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-9માં અભ્યાસ કરતી 1.59 લાખ વિદ્યાર્થિનીઓને મફત સાયકલ આપવા ₹73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9 અને 10ના 1.70 લાખ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ₹24 કરોડની શિષ્યવૃત્તિ ફાળવણી કરવામાં આવી છે.

34 જિલ્લાઓમાં નશામુક્તિ સેન્ટર

દિવ્યાંગજનો માટે સંત સુરદાસ યોજના સહિત વિવિધ આર્થિક સહાય યોજનાઓ માટે ₹249 કરોડ ફાળવાયા છે. મોટરાઇઝડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર માટે ₹60 કરોડ તથા બૌદ્ધિક અસમર્થતા અને ઓટિઝમ ક્ષેત્રે ડે-કેર અને રહેણાક સુવિધા માટે ₹6 કરોડ ફાળવાયા છે. રાજ્યના 34 જિલ્લાઓમાં નશામુક્તિ સેન્ટર સ્થાપવા ₹15 કરોડની જોગવાઈ છે.

નિરાધાર બાળકો માટે પાલક માતા-પિતા યોજના હેઠળ ₹83 કરોડ ફાળવાયા છે. શૈક્ષણિક અને સ્વરોજગાર લોન યોજનાઓ માટે 19 હજાર લાભાર્થીઓને ₹793 કરોડ ફાળવાયા છે, જ્યારે બેંક મારફતે લેવામાં આવેલી લોન પર 6 ટકા સબસિડી આપવા ₹25 કરોડની જોગવાઈ છે.

53 હજાર લાભાર્થીઓને મફત પોષણ તબીબી સહાય

આવાસ યોજનાઓ હેઠળ 24 હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹375 કરોડ ફાળવાયા છે. ઉપરાંત 53 હજાર લાભાર્થીઓને મફત પોષણ તબીબી સહાય માટે ₹143 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ રીતે બજેટ 2026-27 સામાજિક ન્યાય, શિક્ષણ, આવાસ અને દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે વ્યાપક ફોકસ દર્શાવે છે, જે રાજ્યના પછાત અને જરૂરિયાતમંદ વર્ગોને સશક્ત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published On - 2:14 pm, Wed, 18 February 26