કિસાન ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવેલી લોન સામાન્ય રીતે 31 માર્ચ સુધીમાં વ્યાજ સાથે પરત કરવાની હોય છે. જો તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર ખેતી માટે નાણા લીધા છે, તો 30 જુન સુધીમાં તેની ચૂકવણી કરો, અન્યથા તમારે 3% વધારે વ્યાજ ચૂકવવું પડશે. સરકારે આ કૃષિ લોન ચૂકવવાની છેલ્લી તારીખ 30 જૂને જાહેર કરી છે.
સમયમર્યાદામાં લોનની રકમ પરત કરવામાં નહીં આવે તો ત્રણ ટકા વધુ વ્યાજ ચૂકવવું પડશે. છેલ્લી તારીખ પહેલા બેંક 4 ટકા વ્યાજ લેશે, પરંતુ ત્યારબાદ તે 7 ટકા થઈ જશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન 31 માર્ચ સુધીમાં વ્યાજ સાથે પરત કરી તમે નવા નાણાકિય વર્ષ માટે લોન લઈ શકો છો.
કોરોના મહામારીના કારણે સરકારે કૃષિ લોનની ચુકવણીની તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન કરી છે. સમયસર રકમ ચૂકવી વ્યાજ સહાયનો લાભ લઈ શકાય છે. 30 જૂન સુધી વ્યાજ માફી લાગુ છે, તેથી જો તમે તે પહેલા નાણાં જમા કરાવો અને તમે જુલાઈ માસમાં ફરી લોન લઈ શકો છો. આ પ્રકારની કૃષિ લોન કોઈ પણ વ્યાપારી બેંક, સહકારી બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંક પાસેથી કેસીસી (KCC)દ્વારા લઈ શકાય છે.
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર લેવામાં આવેલી 3 લાખ રૂપિયા સુધીની લોન માટેનો વ્યાજ દર 9 ટકા છે. સરકાર વ્યાજદરમાં 2 ટકાની સબસિડી આપે છે, તેથી ખેડૂતોએ 7 ટકા વ્યાજ ચૂકવાનું રહે છે. જે ખેડૂતો સમયમર્યાદામાં રકમ જમાં કરાવે છે, તેઓને વ્યાજ પર 3 ટકા વધુ છૂટ મળે છે. આમ, નિયમિત લોનની રકમ ભરપાઈ કરનારા ખેડૂતો માટેનો વ્યાજ દર ફક્ત 4 ટકા જ રહે છે.
પાછલા વર્ષે કોરોનાને પગલે અને લોક્ડાઉનની સ્થિતિને કારણે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર લેવામાં આવેલી લોનની રકમ વ્યાજ સાથે જમા કરાવવાની તારીખ બે વાર લંબાવી હતી. સરકાર પહેલા 31 માર્ચથી 31 મે કરી અને બાદમાં 31 ઓગસ્ટ સુધી વધારી હતી. ચાલુ વર્ષમાં પણ સરકારે ત્રણ મહિનાનો વધારનો સમય આપ્યો છે.