ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO), જે વિશ્વની ટોચની-300 સહકારી સંસ્થાઓમાં પ્રથમ સ્થાન ધરાવે છે, તેણે દાવો કર્યો છે કે નેનો યુરિયાના ઉપયોગને કારણે ખેડૂતોની આવક વધી રહી છે. તે ઓછા ખર્ચમાં વધુ નફો આપે છે, જેના કારણે ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. પરીક્ષણના આધારે, IFFCOએ કહ્યું છે કે નેનો યુરિયા (Nano Urea Liquid)ના ઉપયોગને કારણે ખેડૂતોની આવક (Farmers Income)માં સરેરાશ 2000 રૂપિયા પ્રતિ એકરનો વધારો જોવા મળી રહ્યો છે. IFFCOના મેનેજિંગ ડિરેક્ટર યુએસ અવસ્થી કહે છે કે નેનો DAP અને અન્ય નેનો પ્રોડક્ટ્સ પણ ટૂંક સમયમાં આવી રહી છે. નેનો યુરિયા લિક્વિડએ માત્ર પર્યાવરણીય અને માનવ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘટાડો કર્યો નથી પરંતુ ખાદ્ય સુરક્ષા અને ઉત્પાદકતામાં પણ નોંધપાત્ર સુધારો કર્યો છે.
અવસ્થીએ જણાવ્યું હતું કે IFFCO એ વિશ્વનું પ્રથમ નેનો યુરિયા વ્યવસાયિક રીતે વિકસાવ્યું છે, જે સદીની નવી શોધ છે. નેનો ટેકનોલોજીની દિશામાં IFFCOનો આ પ્રયાસ ખાતર ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે 2021-22 દરમિયાન, IFFCO એ નેનો યુરિયાની 2.9 કરોડ બોટલનું વિક્રમી ઉત્પાદન કર્યું હતું, જે પરંપરાગત યુરિયાના 13.05 લાખ મેટ્રિક ટનની સમકક્ષ છે. નેનો યુરિયાની 2.15 કરોડ બોટલ વેચાઈ હતી જે 9.67 લાખ મેટ્રિક ટન પરંપરાગત યુરિયાની સમકક્ષ છે.
અવસ્થીએ કહ્યું કે અમે ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવા માટે પ્રયત્નશીલ છીએ. અમે સહકારી ચળવળને મજબૂત કરવા માટે સમર્પિત છીએ. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, IFFCOનો ભાર નવી અને પર્યાવરણને અનુકૂળ કૃષિ તકનીકો વિકસાવવા પર રહેશે.
ગત નાણાકીય વર્ષ દરમિયાન, IFFCOના કલોલ, ફુલપુર, આમળા, કંડલા અને પારાદીપ પ્લાન્ટોએ કુલ 87.02 લાખ મેટ્રિક ટન ખાતરનું ઉત્પાદન કર્યું હતું. જેમાં 43.61 લાખ મેટ્રિક ટન યુરિયા, 26.87 લાખ મેટ્રિક ટન DAP અને 43.42 લાખ મેટ્રિક ટન NPK અને ચોક્કસ ખાતરનો સમાવેશ થાય છે.
અવસ્થીએ કહ્યું કે ‘અમે કુલ 123 લાખ મેટ્રિક ટન ખાતરનું વેચાણ કરવામાં અને 125.17 લાખ મેટ્રિક ટન NPK, DAP અને ચોક્કસ ખાતર સમગ્ર દેશમાં મોકલવામાં સફળ રહ્યા છીએ. ટેક્સ પછી રૂ. 2000 કરોડથી વધુનો નફો થવાની ધારણા છે. બીજી તરફ, IFFCO દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતોને સારી ખેતી તેમજ પ્રગતિની પુષ્કળ તકો મળે છે. ઉપજની સાથે આવક વધારવાનું આ ખૂબ જ અસરકારક માધ્યમ છે. જણાવી દઈએ કે નેનો યુરિયાની પ્રથમ જાહેરાત 31 મે 2021ના રોજ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Success Story : આફતમાં અવસર શોધી પ્રોફેસરે છત પર શરૂ કરી જૈવિક ખેતી, ઉગાડી રહ્યા છે ફળ અને શાકભાજી
આ પણ વાંચો: Soil Test: માટીની તપાસથી ખેડૂતોને થશે ડબલ ફાયદો, જાણો નમૂનો લેતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-