ચોમાસા દરમ્યાન દુધાળ પશુઓને થતા રોગ કેવી રીતે અટકાવી શકાય અને પશુઓની સાર સંભાળ તથા માવજત
દુધાળા પશુઓ ખાસ કરીને વધુ દુધ આપતી ગાયો, ભેંસો તથા નવજાત વાછરડાં, પાડીયાંની ચોમાસા- અતિવૃષ્ટી દરમ્યાન રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાથી તે રોગિષ્ટ બનતાં હોય છે.
દુધાળા પશુઓ ખાસ કરીને વધુ દુધ આપતી ગાયો (Cow), ભેંસો (Buffalo) તથા નવજાત વાછરડાં, પાડીયાંની ચોમાસા (Monsoon), અતિવૃષ્ટી દરમ્યાન રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાથી તે રોગિષ્ટ બનતાં હોય છે. નવજાત બચ્ચાં યોગ્ય કાળજીનાં અભાવે 4 થી 6 માસની ઉંમર સુધી ઝાડા તથા શરદી ન્યુમોનિયાથી માંદા પડતાં હોય છે.
કેટલાંક પશુઓ મૃત્યું પણ પામતાં હોય છે. રોગીષ્ટ વાછરડાં પાડીયાંમાં વૃદ્ધિ દર તેમજ દુધાળી ગાયો-ભેંસોમાં દૂધ ઉત્પાદન ઘટતાં આર્થિક નુકસાની ભોગવવી પડે છે.
1. ચોમાસા દરમ્યાન પશુઓ ખાસ કરીને નવજાત / ઉછરતાં નાનાં વાછરડા પાડીયાં ભીંજાય નહીં તેમ યોગ્ય રહેણાંક પૂરું પાડી રાખવા જોઈએ.
2. વરસાદનાં ઝાપટાં તથા ઠંડા પવનથી તેમને રક્ષાણ મળે તે માટે તાડપત્રી / કોથળાની આડશ કરી શકાય.
3. પશુ-રહેઠાણનું ભોયતળીયું પાકું અને ઢોળાવવાળું હોવુ જોઈએ તમજ રહેઠાણ હવા-ઉજાસ યુકત હોવું જરૂરી છે.
4. ભોયતળીયું ભીનું હોય તો અનાજનાં ખાલી કોથળાનો પાથરણાં તરીકે ઉપયોગ કરી શકાય.
5. અઠવાડિયામાં 1 થી 2 વખત ફિનાઈલનાં ૦.5% દ્રાવણનો છંટકાવ કરી ભોંયતળિયું જંતુ રહિત કરવું જોઈએ.
6. ગૌશાળામાં ગાયોનાં શેડનાં ખુલ્લા ભાગમાં ભોયતળીયું પાકું / ઈટોં છેડેથી છેડે ગોઠવી શૂકું કરી શકાય.
7. ગૌશાળાના શેડના ખુલ્લા ભાગમાં તેમજ આજુ-બાજુ કળી ચુનો છાંટવો.
ચોમાસામાં રોગચાળા સામે પશુઓનો બચાવ
ચોમાસા દરમ્યાન ગાય ભેંસ વર્ગનાં પશુઓ ગળસૂંઢો, ગાંઠિયો તાવ જેવા રોગથી અસરગ્રસ્ત થતા હોય છે. આ બન્ને ચેપી રોગોને કારણે મોટી સંખ્યામાં પશુઓ મરણ પણ પામતાં હોય મહામુલા પશુધન ગુમાવવા પડતાં હોય છે. આવી વિકટ પરિસ્થિતિને અટકાવવા માટે અગમચેતી રૂપે દરેક પશુને જૂન માસનાં પ્રથમ કે બીજા અઠવાડિયામાં ઉપરોકત બન્ને રોગ સામે રસી અચુક અપાવવી જોઈએ.
ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છર ઉપદ્રવને કાબુમાં લેવાથી દુધાળા પશુંઓમાં ચોમાસા દરમ્યાન જોવા મળતો ‘વલા’ નો રોગ અટકાવી શકાય. મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે પશુ રહેઠાણની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો તથા જરૂરી જણાય તો યોગ્ય મચ્છર નાશક દવા (કેરોસીન અને પાણીનું મિશ્રણ અથવા ડિઝલ કે અન્ય ક્રુડ ઓઈલ) નો છંટકાવ કરી શકાય. માખીઓનો ઉપદ્રવ ઘટાડવા પણ યોગ્ય દવાઓનો છંટકાવ અથવા માખી નાશક સાધનોનો ઉપયોગ પણ કરી શકાય.