ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે શેરડી (Sugarcane) અને ડુંગળીના પાકમાં શું કરવું.
શેરડી
1. રોગ-જીવાત મુક્ત ૮ થી ૧૦ માસના પાકમાંથી બીજની પસંદગી કરવી.
2. શેરડીના ૨-૩ આંખ વાળા ટુકડા પસંદ કરી એમીશાન અને મેલાથીયોનના દ્રાવણમાં ૫ થી ૧૦ મિનીટ બોળી રાખવા.
3. સૌરાષ્ટ્રની આબોહવાકીય વિસ્તારમાં શેરડીની જાત કો.એન. ૦૫૦૭૧ (ગુજરાત શેરડી-૫) તેમજ દક્ષીતઓ ણ ગુજરાત માટે શેરડી કો. એન. ૧૩૦૭૨નું વાવેતર કરવું.
4. શેરડીની રોપણી પહેલાં હેક્ટર દીઠ ૩૭.૫ કિલોગ્રામ નાઈટ્રોજન, ૧૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ અને ૧૨૫ કિલોગ્રામ પોટાશ તત્વ એટલે કે ૭૮૧ કિલોગ્રામ સુપર ફોસ્ફેટ, ૮૧ કિલોગ્રામ યુરીયા અને ૧૨૦ કિલોગ્રામ મયુરેટ ઓફ પોટાશ ખાતર ચાસમાં આપવું.
5. શેરડીમાં આંતરપાક તરીકે ચણા, લસણ અથવા ડુંગળીનું વાવેતર કરવું.
6. શેરડીમાં જૈવિક ખાતરો એસીટોબેકટર પીએસબી અને કે.એમ.બી.નું કલ્ચર ૩૦૦ મિલીને ૩૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી ૩૦ મિનીટ દ્રાવણમાં કટકાને પલાળી વાવેતર કરવું.
ડુંગળી
1. રવિ ઋતુમાં લાલ ડુંગળી માટે પૂસા રેડ, જી.જે.આર.ઓ. – ૧૧ તેમજ સફેદ ડુંગળી માટે ગુજરાત સફેદ ડુંગળી-૧, જી.જે.ડબ્લ્યુ.ઓ.-૩ ઉપરાંત નાસિક-૫૩, જુનાગઢ લોકલ (પીળીપતી)નું વાવેતર કરવું.
2. ડુંગળી કંદના ઉત્પાદન માટે હેકટર દીઠ ૩૭.૫ કિલોગ્રામ નાઈટ્રોજનને ૩૭.૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૮૧ કિલો ડી.એ.પી. અને ૫૦ કિલોગ્રામ યુરીયા અથવા ૧૧૫ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર ફેર રોપણી કરતી વખતે પાયાના ખાતર તરીકે આપવું.
3. ડુંગળી બીજના ઉત્પાદન માટે પાકનું વાવેતર ૧૫ ઓકટોબરથી ૧૫ નવેમ્બર સુધીના સમયગાળામાં કરવું.
4. ડુંગળી બીજ ઉત્પાદન માટે હેકટર દીઠ ૩૭.૫ કિલોગ્રામ નાઈટ્રોજન, ૭૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૬૩ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૮ કિલોગ્રામ યુરીયા, ડુંગળીના કંદ રોપણી વખતે પાયાના ખાતર તરીકે આપવું.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : ભારતમાંથી ખાંડની નિકાસનો આ વર્ષે રેકોર્ડ બન્યો, 72.3 મિલિયન ટનની કરવામાં આવી નિકાસ
આ પણ વાંચો : કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે કેવી રીતે FPO દ્વારા ખેડૂતોની આવક બમણી-ત્રણ ગણી થઈ