ખેડૂતોના (Farmers) ખેતી પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) નો અભિગમ વિકસાવવામાં આવેલ છે. આ નૂતન અભિગમ પ્રમાણે જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ બિન રાસાયણિક પધ્ધતિઓનો ઉપયોગ કરી જીવાતનું પ્રમાણ નીચુ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને જરૂર જણાય તો જ કીટનાશકનો ઉપયોગ કરવાની ખેડૂતોને સલાહ આપવામાં આવે છે.
પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આધુનિક ખેતીમાં વધુ પાક ઉત્પાદન મેળવવા માટે કીટનાશક રસાયણોનો ઉપયોગ લગભગ એક અનિવાર્ય અંગ બની ગયુ છે તેમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. પાક સંરક્ષણમાં ખાસ કરીને કીટનાશકો પાછળ થતો ખર્ચ અગત્યનું પાસુ છે તેનો ઉપયોગ ખૂબ જ કાળજી માગી લે છે. આજે જયારે આપણે ટકાઉ ખેતીની વાતો કરીએ છીએ ત્યારે ખેતી ખર્ચ ઘટાડવો ખૂબ જ જરૂરી છે.
કીટનાશક રસાયણોનો જો સંયમ પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણને નુકસાન પહોંચાડયા વગર ખેડૂતોને પોષાય તે રીતે જીવાતનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. ઘણી વખત પાકમાં અસાધારણ પરિસ્થિતિ જોવા મળે છે. આવી સ્થિતિ માટે હંમેશા જીવાત કે રોગ જ જવાબદાર હોય છે એવું નથી. તે માટે રોગ-જીવાત સિવાય અમુક પોાક તત્વની ઉણપ, જમીનનો ભેજ તેમજ વાતાવરણના વિવિધ પરીબળો એક યા બીજી રીતે ભાગ ભજવતા હોય છે.
સૌ પ્રથમ પાકની અસાધારણ પરિસ્થિતિ માટેના જવાબદાર પરીબળનું નિદાન કરો. જો જીવાત કે રોગ જવાબદાર ઠરે તો તેને અનુરૂપ યોગ્ય પગલાં લેવાનું વિચારો. તેના નિયંત્રણ માટે જયારે જંતુનાશકનો ઉપયોગ કરવાનો પ્રશ્ન ઉભો થાય ત્યારે જે તે જીવાત, રોગ, કૃમિ કે નીંદણ માટે યોગ્ય રસાયણની પસંદગી થાય તે ખૂબ જ હિતાવહ છે.
પાકમાં એકલ-દોકલ જીવાતની હાજરી જણાય કે પાકનો એકાદ ભાગ ઉપદ્રવિત જોવા મળે કે તરત જ કીટનાશકનો ઉપયોગ શરૂ કરી દેવો તે બરાબર નથી. તે માટે સૌ પ્રથમ તો જે તે જીવાતની માત્રા / પ્રમાણ જાણવાનો પ્રયત્ન કરો. પાકમાં જે તે જીવાત તેની ક્ષામ્ય માત્રાનો આંક વટાવે ત્યારે જ યોગ્ય ભલામણ મુજબના કીટનાશક રસાયણનો ઉપયોગ કરવો જોઈએ.
માહિતી સ્ત્રોત: આણંદ કૃષિ યુનિવર્સીટી