ગુજરાતમાં સારા પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતો (Farmers) દ્વારા મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર કરવાથી રાજ્યમાં ચણાનું (Chickpeas) વિપુલ ઉત્પાદન થયું છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી ભારત સરકારે ખેડૂતોના હિતમાં સૌપ્રથમ 3,19,957 મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમાં ટેકાના ભાવે ચણાના વેચાણ માટે કુલ 3,38,777 ખેડૂતો દ્વારા નોંધણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર (Government) દ્વારા ટેકાના ભાવે વધુ ચણાની ખરીદીની માંગણી કરતા કેન્દ્ર સરકાર દ્વારા 4,65,818 મે.ટન ચણાની ખરીદી કરવા મંજૂરી આપવામાં આવી છે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં તા.06 મે-2022ની સ્થિતિએ 2,83,140 ખેડૂતોને તક આપી કુલ 4,59,153 મે.ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યમાં ચણાના બજાર ભાવની સરખામણીએ ટેકાના ભાવ વધારે હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવાના વિકલ્પ પર પસંદગી ઉતારી છે. જેથી રાજ્ય સરકારની રજૂઆત સંદર્ભે કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોના હિતમાં જથ્થો વધારી કુલ 5,36,225 મે.ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યમાં નોંધાયેલ તમામ 3,38,777 ખેડૂતોને સમાન રીતે પુરતી તક આપીરૂ. 2804.46 કરોડ જેટલી માતબર રકમના મૂલ્યના ચણાની ટેકાના ભાવે ખરીદી કરી શકાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારનો ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો નિર્ધાર છે. જો હજી પણ ખેડૂતોની માગ મુજબ ટેકાના ભાવે ચણાની ખરીદીનો જથ્થો વધારવાની જરૂરીયાત જણાય તો આશરે રૂ.130 કરોડના મૂલ્યના 25,000 મે.ટન ચણાની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ફંડમાંથી કરવામાં આવશે. રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા ખરીદવા માટે તા.1 માર્ચ-2022થી શરૂ થયેલી આ ખરીદી આગામી તા.29મે-2022 સુધી ચાલુ રહેશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
આ વર્ષે ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોને કોઇ તકલીફ ન પડે તે માટે ખેતીવાડી ખાતુઅને ગુજકોમાસોલ સતત પ્રયત્નશીલ છે જે કામગીરી પ્રસંશનીય છે. ખેડૂતોના હકના નાણામાંગેરરીતિ આચરનાર કોઇ પણ પ્રયત્નોને રાજ્ય સરકાર સાંખી લેશેનહિં. સરકાર આવા ગેરરીતિના કિસ્સાઓમાં નિયમોનુસાર કડક કાર્યવાહી કરશે તેવો પણ મંત્રીશ્રીએ કડક સંદેશો આપ્યો હતો.
કૃષિમંત્રીએ રાજ્યના ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો ખેડૂતો વતી આભાર માન્યો હતો.
Published On - 7:14 pm, Mon, 9 May 22