વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ ખાતે વર્લ્ડ ડેરી કોન્ફરન્સ (IDF WDS) 2022 ની શરૂઆત કરાવી. આ દરમિયાન, કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું કે ડેરી ક્ષેત્રની સંભવિતતા ન માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપે છે, પરંતુ તે વિશ્વભરના કરોડો લોકો માટે આજીવિકાનું મુખ્ય માધ્યમ પણ છે. તેમણે કહ્યું કે વિશ્વના અન્ય વિકસિત દેશોથી વિપરીત ભારતમાં ડેરી ક્ષેત્રની વાસ્તવિક તાકાત નાના ખેડૂતો છે. પીએમએ કહ્યું કે ભારતના ડેરી સેક્ટરની ઓળખ મોટા પાયે ઉત્પાદન કરતાં વધુ, લોકો દ્વારા ઉત્પાદનથી છે.
પીએમે કહ્યું કે આખી પ્રક્રિયામાં કોઈ મિડલ મેન નથી અને ગ્રાહકો પાસેથી મળેલા 70 ટકાથી વધુ પૈસા ખેડૂતોના ખિસ્સામાં જાય છે. સમગ્ર વિશ્વમાં આટલી ઊંચી સરેરાશ અન્ય કોઈ દેશમાં નથી. આજે ભારતમાં ડેરી સહકારી સંસ્થાઓનું એટલું વિશાળ નેટવર્ક છે, જેનું ઉદાહરણ સમગ્ર વિશ્વમાં મળવું મુશ્કેલ છે.
વડાપ્રધાને કહ્યું કે દેશના બે લાખથી વધુ ગામડાઓમાં ડેરી સહકારી મંડળીઓ લગભગ બે કરોડ ખેડૂતો પાસેથી દિવસમાં બે વખત દૂધ એકત્ર કરે છે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડે છે. પીએમ મોદીએ કહ્યું કે મને ખાતરી છે કે આ કોન્ફરન્સ ડેરી સેક્ટર સાથે સંબંધિત વિચારો, ટેક્નોલોજી, કુશળતા અને પરંપરાઓના સ્તરે એકબીજાના જ્ઞાન અને શિક્ષણને વધારવામાં મોટી ભૂમિકા ભજવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ડેરી પ્રાણીઓનો સૌથી મોટો ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે. ડેરી સેક્ટર સાથે જોડાયેલા દરેક પશુને ટેગ કરવામાં આવી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી અમે પ્રાણીઓની બાયોમેટ્રિક ઓળખ કરી રહ્યા છીએ. અમે તેને નામ આપ્યું છે – પશુ આધાર. તેમણે કહ્યું કે મહિલા શક્તિ ભારતના ડેરી ક્ષેત્રમાં 70% કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. મહિલાઓ ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક આગેવાનો છે. એટલું જ નહીં, ભારતમાં ડેરી સહકારી સંસ્થાઓના ત્રીજા ભાગથી વધુ સભ્યો મહિલાઓ છે.
પીએમએ કહ્યું કે 2014માં ભારતમાં 146 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું હતું. હવે તે વધીને 210 મિલિયન ટન થઈ ગયું છે. એટલે કે લગભગ 44 ટકાનો વધારો થયો છે. 2014 થી, અમારી સરકારે ભારતના ડેરી ક્ષેત્રની ક્ષમતા વધારવા માટે સતત કામ કર્યું છે. આજે તેનું પરિણામ દૂધ ઉત્પાદનથી લઈને ખેડૂતોની આવકમાં વધારો જોવા મળે છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે. આ ક્ષેત્ર ભારતના 8 કરોડથી વધુ પરિવારોને રોજગાર પ્રદાન કરે છે.
ભારતમાં, અમે પ્રાણીઓના સાર્વત્રિક રસીકરણ પર પણ ભાર આપી રહ્યા છીએ. અમે સંકલ્પ કર્યો છે કે 2025 સુધીમાં, અમે 100% પ્રાણીઓને ફુટ એન્ડ માઉથ ડિસીઝ અને બ્રુસેલોસિસ સામે રસી આપીશું. અમે આ દાયકાના અંત સુધીમાં આ રોગોથી સંપૂર્ણ મુક્તિનું લક્ષ્ય રાખીએ છીએ. છેલ્લા થોડા સમયથી લમ્પી નામના રોગને કારણે ભારતના ઘણા રાજ્યોમાં પશુધનનું નુકસાન થયું છે. કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો સાથે મળીને તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આપણા વૈજ્ઞાનિકોએ લમ્પી રોગ માટે સ્વદેશી રસી પણ તૈયાર કરી છે.
હકીકતમાં, 1974 પછી, આ વિશ્વ ડેરી સમિટ બીજી વખત ભારતમાં યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં 50 દેશોના લગભગ 1433 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ માટે ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટમાં 11 હોલ તૈયાર કરવામાં આવ્યા છે. આમાંથી ત્રણમાં પ્રદર્શન યોજાશે. આ દરમિયાન ડેરી ઉદ્યોગને લગતી નવી ટેકનોલોજી રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે તમામ હોલનું નામ ભારતીય ગાય અને ભેંસની પ્રજાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે. જ્યાં પીએમ મોદી સંબોધન કર્યું હતું, તે હોલનું નામ ગુજરાતની પ્રખ્યાત ‘ગીર ગાય’ના નામ પરથી રાખવામાં આવ્યું છે.
Published On - 1:23 pm, Mon, 12 September 22