સાબરકાંઠા (Sabarkantha)ના વડાલી નજીકથી ગુરુવારે સાંજે એક આધેડનું અપહરણ કરવામાં આવ્યું હતુ. અપહરણ બાદ રુપિયા 40 લાખની ખંડણી અપહરણકારો દ્વારા માંગી હતી. પરંતુ સાબરકાંઠા પોલીસે કલાકોમાં જ અપહ્યત આધેડને છોડાવી લઈને પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. સાબરકાંઠા પોલીસે રાત્રીના અંધકારમાં જ ઓપરેશન ચલાવી અપહ્યતને છોડાવી લેવાની સફળતા મેળવી હતી.
વડાલી (vadali)ના ધામડી ગામે રહેતા પશુઆહાર અને વીમા એજન્ટ આધેડનું ગુરુવારે મોડી સાંજે અપહરણ કરવામાં આવ્યું હતુ. વડાલીના નવાનગર પાસે ફિલ્મી સ્ટાઈલથી કાર લઈને આવેલા શખ્શોએ જયંતિભાઇ પટેલનું અપહરણ કર્યુ હતુ. જયંતિભાઈ અને સાગર નામનો યુવક બંને સાથે બાઈક લઈને ધંધાના કામે જઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમની બાઈક આંતરીને તેમને માર મારી કારમાં બેસાડી દીધા હતા.
અપહરણ કર્યાના થોડાક જ સમયમાં તેમના ઘરે તેમની પત્નીને 40 લાખ રુપિયા ખંડણી આપવા માટેની માંગણી કરી હતી. જેને લઈને તેમના પત્નીએ પુત્રને વાત કરી હતી. આ દરમ્યાન પુત્રએ પોલીસને સંપર્ક સાધ્યો હતો. પોલીસે જંયંતિભાઈને હેમખેમ છોડાવવા માટે ઓપરેશન હાથ ધર્યુ હતુ. SP નિરજ બડગુજર (Niraj Badgujar) અને ઈડર DySP ડીએમ ચૌહાણે ગુપચુપ રીતે ઓપરેશન શરુ કર્યુ હતુ.
જંયતિભાઈને અપહરણકર્તાઓથી છોડવવા માટે SOG અને LCB ઉપરાંત અન્ય 6 જેટલી ટીમો ઓપરેશનમાં જોડવામાં આવી હતી. જેમાં બે મહિલા અધિકારીઓનો પણ સમાવેશ કર્યો હતો. આ દરમ્યાન DySP ચૌહાણને સાગર નામના શખ્શ પર શંકા ગઈ હતી. તેની ઘટનાને વર્ણવવાની સ્ટાઈલમાં શંકા જઈ રહી હતી. જેથી તેઓેએ તેને મનોવૈજ્ઞાનિક ઢબે લાંબી વાતચીત કરવાની શરુ કરી હતી. જેમાંથી તેમને કડી મળવી શરુ થઈ હતી.
જેમાં એક બાદ એક નવા ચહેરા ઉમેરાતા તેમની પણ પૂછપરછ કરતા આખરે રાતભર ચલાવેલા ઓપરેશનમાં જયંતિભાઈને હેમખેમ પરત છોડાવવામાં સફળતા મળી હતી. ખંડણી માંગનારા અપહરણકારોને પોલીસની ટીમે ઝડપી પાડવા સાથે જયંતિભાઈને પણ ઈજા પામેલી હાલતમાં પરત મેળવ્યા હતા. તેઓને ખેરાલુના ડાલીસણા ગામ નજીક એક ખેતરની ઓરડીમાં પુરી રાખ્યા હતા. જ્યાંથી સફળતાપૂર્વક SOG PI અને LCB PIની ટીમ તેમને છોડાવી શકી હતી.
DySP દિનેશ સિંહે કહ્યું હતુ કે આખીય ઘટનાનું ષડયંત્ર સાગર પટેલ અને જીજ્ઞા પટેલે ઘડ્યુ હતુ. બંને આ અગાઉ પણ ગુન્હા આચરી ચુક્યા છે. બંનેએ જયંતિભાઈ પટેલ સમૃદ્ધ હોવાને લઈને તેઓએ પ્લાન બનાવ્યો હતો. ભોગ બનનાર જયંતિભાઈ વિમાનું મોટુ કામકાજ ધરાવતા હતા. સાથે પશુઆહારનો પણ મોટો વેપાર કરતા હતા.