અમદાવાદના (Ahmedabad) વટવા વિસ્તારમાં એક નજીવી બાબતે હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગમાં દાંડીયા રાસ (Dandiya Raas)સમયે ગરબા રમતા પગ અડી જતા બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો ઉગ્ર બનતા સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો.
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા મોટા ઠાકોરવાસમાં લગ્ન પ્રસંગ દરમ્યાન બોલાચાલી બાદ ઝગડો થયો હતો. જે હત્યામાં ફેરવાયો હતો. સમગ્ર મામલાની વાત કરીએ તો વટવા વિસ્તારમાં રહેતા અજય ઠાકોર, તેના ભાઈ અને સગા સબંધીઓ સાથે પડોશમાં રહેતા ભરતભાઈ ઠાકોરની દીકરીના લગ્ન પ્રસંગમાં ગરબાના પ્રસંગમાં ગયા હતા. જ્યાં ગરબા રમતા સમયે ઠાકોરવાસમાં જ રહેતા મહેશ પણ ત્યાં પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. અને ગરબા રમતો હતો તે સમયે અજયનો પગ મહેશને લાગ્યો હતો.
જેને કારણે મહેશે અજયને ગાળો આપી હતી. અને ગરબા પૂરા થયા પછી તેને જોઈ લઈશની ધમકી આપી હતી. ગરબા પૂરા થયા બાદ અજય પોતાના ઘરે જતો હતો. ત્યારે રાતના સમયે મહેશે અજય સાથે ઝગડો કર્યો હતો. બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. જે બાદ મહેશે અજ્યનું ગળું દબાવી દીધું હતું. ત્યારે તેના ભાઈએ જીજ્ઞેશ અને દીપેશ વચ્ચે પડી બચાવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
સમગ્ર મામલે મારામારી બાદ અજયનું મોત થતાં મામલો હત્યામાં ફેરવાયો છે. અજયનું મોત થતાં તેના ભાઈ જીજ્ઞેશ દ્વારા વટવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઈ હતી. આ મામલે વટવા પોલીસે મહેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે લગ્નમાં રાતના સમયે દાંડિયા રાસ પૂરા થયા બાદ ઝગડો થતો હતો. જેમાં ફરીથી બોલાચાલી બાદ મારામારી થઈ હતી અને ગળું દબાવવામાં આવ્યું હતું. જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
Published On - 6:18 pm, Thu, 12 May 22