વાલિયા તાલુકાના રામપરા ગામે પ્રેમીએ પ્રેમિકાની તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પતિના મૃત્યુ બાદ ત્રણ સંતાનોની માતા પોતાના પ્રેમી સાથે રહેતી હતી. બંને વચ્ચે ઝઘડો થતા પ્રેમીએ જ પ્રેમિકાને રહેસી નાખી ફરાર થઇ ગયો હતો.
વાલિયાનાં રામપરા ગામે પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે જેમાં પ્રેમીએ પોતાની જ પ્રેમિકાની હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.વાલિયાના રામપરા ગામે રહેતી મીના બહેન પરીખના પતિ આનંદભાઈનું મૃત્યુ થતા તેનો ગણપત કબીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.પતિના મૃત્યુ બાદ બન્ને સાથે રહેતા હતા દરમ્યાન ગતરાત્રીનાં બન્ને વચ્ચે પારિવારિક બાબતે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા પ્રેમી ગણપત કબીરાએ મીનાબહેનનું ચપ્પુ વડે ગળું રહેસી નાખ્યું હતું.
શરીરના અન્ય ભાગે પણ ચપ્પુના ઘા વાગતા થયેલી ગંભીર ઈજાના પગલે મીનાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના સંબંધી શનુબેન વસાવાએ જણાવ્યું હતું કે મીનાબહેન ઉપર આરોપી ખુબ ધાક રાખતો હતો અને બંને વચ્ચે તકરાર રહેતી હતી. મીના કોઈ પુરુષ સાથે વાત કરે તો પણ ગણપત તેને માર મારતો હતો.
આ તરફ પ્રેમી ગણપત કબીરા હત્યાના ગુન્હાને અંજામ આપ્યા બાદ ફરાર થઇ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખસેડ્યો છે.વાલિયા પોલીસે બનાવ સદર્ભે હત્યાનો ગુન્હો નોધી ફરાર આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.DYSP એસસી-એસટી સેલ ભરૂચ એમ પી ભોજાણીએ જણાવ્યું હતું કે હત્યા ઘાતકીરીતે કરાઈ છે. મૃતક મહિલાને ૫ થી ૬ ઘા ઝીકી દેવાયા હતા. હત્યા બાદ આરોપી નાસી છૂટ્યો છે જેને ઝડપી પાડવા પોલીસ પ્રયાસ કરી રહી છે મીનાને તેના પતિ થકી ત્રણ સંતાનો હતા જો કે પ્રેમ સંબંધમાં ત્રણ બાળકોએ પ્રથમ પિતા અને બાદમાં માતાની છત્રછાયા પણ ગુમાવતા બાળકો રઝળી પડવાનો ભય ઉભો થયો છે તો પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 6:36 pm, Mon, 26 October 20