આવકવેરા (INCOME TAX ) વિભાગે ઉત્તર-પૂર્વી ભારતમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી ત્રણ મોટા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અત્યાર સુધીમાં આશરે 100 કરોડ રૂપિયાની અઘોષિત આવક બહાર આવી છે. આ જૂથોમાંથી એક હોસ્પિટાલિટી બિઝનેસ સાથે સંકળાયેલી છે. દિલ્હી અને આસામના ગુવાહાટી, સીલાપથર અને પાઠશાળામાં 14 સ્થળોએ સર્ચ કરાવમાં આવ્યું હતું.
ત્રણેય જૂથો પર દરોડામાં અસુરક્ષિત લોન અને કોલકાતા સ્થિત શેલ કંપનીઓનો ઉપયોગ કરવાનો આરોપ છે. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે ત્રણેય જૂથોએ ચોખ્ખો નફો પણ છુપાવ્યો હતો અને ગુવાહાટી અને કોલકાતાની બહાર એન્ટ્રી ઓપરેટર દ્વારા વ્યવસાયમાં બિનહિસાબી પૈસા કમાણી કરી હતી. સર્ચ દરમિયાન જાણવા મળ્યું કે શેલ કંપનીઓ પાસેથી લોન/પ્રીમિયમ લેવામાં આવ્યું હતું અને તે ફક્ત કાગળ પર હતી. અસલમાં આવો કોઈ વાસ્તવિક વ્યવસાય જ નથી.
પૂછપરછ દરમ્યાન એન્ટ્રી ઓપરેટરોએ સ્વીકાર્યું કે શેલ કંપનીઓના જૂથો માટે અસુરક્ષિત લોન/શેર પ્રીમિયમ વાસ્તવિક નથી.અત્યાર સુધીમાં 9.79 લાખ રૂપિયાના દાગીના અને રૂપિયા 2.95 કરોડની રોકડ કબજે કરવામાં આવી છે. 2 કરોડ રૂપિયાથી વધુના બાકીના ઝવેરાતનાં સંપાદનના સ્ત્રોતોની ચકાસણી બાકી છે.
IT વિભાગે જણાવ્યું હતું કે સર્ચ અને સર્વે અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં આશરે 100 કરોડની અઘોષિત આવક બહાર આવી છે. એક લોકર પણ મળી આવ્યું છે, જે હજી ખોલવાનું બાકી છે. છેલ્લા કેટલાક મહિનામાં આવકવેરા વિભાગે ઘણી શેલ કંપનીઓ પર કાર્યવાહી કરી હતી. હકીકતમાં આ કંપનીઓ ખોટી કંપનીઓના ખાતામાં ટ્રાન્ઝેક્શન બતાવીને આવકવેરા વિભાગને ચૂનો ચોપડતી હતી.
આ પણ વાંચો: બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ થઈ ભાવુક, વીડિયો થયો VIRAL
Published On - 9:41 pm, Sat, 26 December 20