8 વર્ષ પહેલા ગુમ થયેલા બાળકના મોતનું ખુલ્યું રહસ્ય, અચાનક મળી આવી બાળકની લાશ, પોલીસ પણ ચોંકી ઉઠી
પોલીસને લગભગ 8 વર્ષ પહેલા ગુમ થયેલા છોકરાની લાશ મળી આવી છે. 2013માં ઘરેથી આ છોકરો આંબાના ઝાડ પરથી કેરી તોડવા ગયો હતો.
મધ્યપ્રદેશના છિંદવાડામાં પોલીસને લગભગ 8 વર્ષ પહેલા ગુમ થયેલા છોકરાની લાશ મળી આવી છે. 2013માં ઘરેથી આ છોકરો આંબાના ઝાડ પરથી કેરી તોડવા ગયો હતો. પરંતુ તેની આસપાસ કરંટ લગાવેલો હતો. જેના કારણે બાળકનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે. જે જમીન પર આ વૃક્ષો હતા તેના માલિકે મૃતદેહને જમીનમાં દફનાવી દીધો હતો. પરંતુ વર્ષ 2021માં આખરે પોલીસે ગુમ થયેલા બાળકનું રહસ્ય ઉકેલી લીધું હતું.
એક ખાનગી એહેવાલ પ્રમાણે છિંદવાડાના પોલીસ અધિક્ષક વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે, ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારના દબક ગામનો રહેવાસી 16 વર્ષનો છોકરો 4 ડિસેમ્બર, 2013 ના રોજ ગુમ થઈ ગયો હતો. ત્યારથી તેના વિશે કોઈ ભાળ મળી નહોતી. ઓપરેશન મુસ્કાન અંતર્ગત ગુમ થયેલા છોકરા-છોકરીઓ માટે પોલીસ હેડક્વાર્ટર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત જ્યારે પોલીસ સ્ટેશન ઉમરેઠમાં બાળક ગુમ થયા બાદ આઠ વર્ષથી પેન્ડિંગ કેસની સમીક્ષા કરવામાં આવી હતી.
ખાસ ટીમની રચના કરવામાં આવી હતી
એસપીના જણાવ્યા અનુસાર, બાળકના કેસની તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક નવું તથ્ય સામે આવ્યું કે, ગુમ થયેલ બાળક છેલ્લી વખત મિત્ર સાથે બહાર નીકળીને એમ કહીને ગયો હતો કે, તે કેરી તોડવા માટે જાય છે. પરંતુ તેનો મિત્ર જ સાંજે પાછો ફર્યો આ બાળક પરત ફર્યો નહોતો. તે મિત્ર તે સમયે સગીર પણ હતો પણ હવે પુખ્ત વયનો થઈ ગયો છે.તેથી જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી ત્યારે તેણે ઘટનાનું સત્ય સામે લાવ્યું, જે સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ, ગુમ થયેલા છોકરાના મિત્રની પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે બંને કેરી ખાવા ગયા હતા ત્યાં બગીચાના માલિકે તે આંબાના ઝાડની આસપાસ કરંટ ગોઠવી નાખ્યો હતો જેથી કોઈ પ્રાણી કે અન્ય કોઈ વ્યક્તિ તેની કેરી તોડી ન શકે. જ્યારે બંનેએ ઝાડમાંથી એક કેરી તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓને વીજળીનો કરંટ લાગ્યો હતો અને બંને ઝટકો ખાઈને જમીન પર પડી ગયા હતા.
ઇલેક્ટ્રિક શોકના કારણે થયું મૃત્યુ
મિત્રના જણાવ્યા અનુસાર, ગુમ થયેલ બાળકને જોરદાર વીજળીનો કરંટ લાગ્યો હતો, જેના કારણે તે ઉઠી શક્યો ન હતો. જ્યારે તેને થોડો જ આંચકો લાગ્યો હતો. તે શાંતિથી તેના ઘરે આવ્યો. તેની ઉંમર નાની હતી અને અચાનક થયેલી ઘટનાઓથી તે ખૂબ જ આઘાત પામ્યો હતો અને આ ઘટનાને સમજી શકતો ન હતો. તેથી ઘરે આવ્યા પછી પણ તેણે કોઈને કંઈ કહ્યું નહીં.
હવે 8 વર્ષ પછી, જ્યારે તેણે આ ઘટના જણાવી, તે સમયે બગીચાના માલિક રામદાસને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન, તેણે કહ્યું કે જ્યારે તેણે આંબાના ઝાડ પાસે બાળકનો મૃતદેહ જોયો ત્યારે તેણે અમુક અંતરે ખાડો ખોદીને મૃતદેહને દફનાવ્યો અને ઘટના અંગે કોઈને જાણ કરી નહીં.
પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, આ નિવેદનના આધારે, મૃત છોકરાનું હાડપિંજર ન્યાયિક મેજિસ્ટ્રેટની હાજરીમાં જમીન પરથી ખોદવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, બગીચાના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.