આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા (Social Media) જેટલું ઉપયોગી છે તેટલું જ નુકસાનકારક પણ છે. જો કે આ વખતે ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નામથી ખોટા ફોન થતા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં (Cyber Crime) નોંધાઇ છે. ભાજપનાં મીડીયા કન્વીનર યજ્ઞેશ દવેએ આ મામલે ફરિયાદ કરી છે. સી.આર. પાટીલના (C.R. Patil) નામથી કોઇ વ્યક્તિએ ફોન કરી ક્લાર્ક કુલદિપ વહીવટી કાર્યવાહીમાં કોન્ટ્રાકટરોને હેરાન કરતો હોવાનું જણાવી તેની તાત્કાલીક બદલી કરી નાખવા જણાવવામાં આવ્યુ હતુ. જો કે પોલીસે સી. આર. પાટીલના નામે ખોટા ફોન કરનારની ધરપકડ કરી લીધી છે.
16 જૂનનાં રોજ રાજકોટના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇન્જીનીયર એન.જી. શીલુને એક મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોનમાં બોલનાર વ્યક્તિએ જણાવ્યુ કે, હું ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના પીએ બોલુ છુ, સાહેબ સાથે વાત કરો. બાદમાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તરીકે એક વ્યક્તિએ માર્ગ અને મકાન વિભાગના એક્ટિવ એન્જીનીયર સાથે વાત કરી અને કહ્યુ કે, અમરેલી ખાતે આવેલા માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં કામ કરતો ક્લાર્ક કુલદિપ વહીવટી કાર્યવાહીમાં કોન્ટ્રાકટરોને તેમજ આઉટ સોર્સીંગના માણસોને હેરાન કરતો હોવાથી તેની તાત્કાલીક બદલી કરી નાખો અને પછી ફોન કાપી નાખ્યો હતો. આ મોબાઇલ ફોન નંબરને ટ્રુ કોલરમાં જોતા તેનું આઇકોન સી.આર. પાટીલ નામનુ સામે આવ્યું હતુ. જેથી સમગ્ર મામલે ભાજપનાં મીડીયા કન્વીનર યજ્ઞેશ દવેએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
કોઇ ખોટી રીતે સી.આર. પાટીલનાં નામનો ઉપયોગ કરતો હોવાનું માલુમ પડતા મોબાઇલ નંબરના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ કરી તે મોબાઇલ નંબર ધારક વિશે જાણકારી મેળવી 17 જૂનના રોજ આરોપીની અટકાયત કરી છે. આરોપીનું નામ ભરતભાઇ મનજીભાઇ વાઘાણી છે અને તે પોતે આઉટ સોર્સીંગ કોન્ટ્રાકટર છે.
આરોપી ભરત સુરત શહેરમાં સીમાડ ગામમાં રહે છે અને તેણે ભાવનગરમાં આવેલા ભાવસિંહજી કોલેજ ખાતે ડીપ્લોમા સીવલ ઇન્જીનીયર તરીકે અભ્યાસ કર્યો છે અને આઉટ સોર્સીંગના સફાઇ કરવાના કોન્ટ્રાકટ લે છે. આ સિવાય બિલ્ડીંગ રીનોવેશનનું કામ પણ કરે છે. આરોપી ભરતે અમરેલીમાં આવેલા માર્ગ અને મકાન વિભાગનું સાફસફાઇનું આઉટ સોર્સિંગનું કામ કરવાનો કોન્ટાકટ લીધેલો છે. આ સાફસફાઇ કામ કરવા માટે આઉટ સોર્સિંગના 45 માણસોને રાખેલા છે. જેથી અવાર નવાર તેના પગાર કરવા માટે દર મહીને તે અમરેલી જાય છે.
માર્ગ અને મકાન ઓફિસ અમરેલી ખાતે કામ કરતો કુલદિપ નામનો ક્લાર્ક એકાઉન્ટ શાખામાં નોકરી કરે છે. જેથી એકાઉન્ટીંગ લગતી કામગીરીમા કુલદિપ કલાર્ક સાથે સંપર્કમાં આવેલો હતો. આ કલાર્ક અમુક નાની નાની બાબતમાં તેમના સુપરવાઇઝર તથા આઉટ સોર્સિંગના માણસો સાથે માથાકુટ કરતો હતો. જેથી કુલદિપ ક્લાર્કને માર્ગ અને મકાન વિભાગ અમરેલીમાંથી હટાવવાના હેતુથી તેણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નામે કાર્યપાલ ઇન્જીનીયર એન.જી. શીલુંને કુલદિપ નામના ક્લાર્કની બદલી જુનાગઢ ખાતે કરી નાખવા ભલામણ કરી હતી. બાદમાં તપાસ કરતા ખોટો ફોન આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ખોટો ફોન કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે.
Published On - 3:07 pm, Sat, 18 June 22