AHMEDBAD : સિવિલ મેડિસીટીમાં દર્દીઓને ઉત્તમ સુવિધા, તમામ હોસ્પિટલમાં 24×7 હેલ્પલાઇન નંબર કાર્યરત
ભાવેશભાઈને સિવિલમાં ૨૭ દિવસની સારવાર બાદ રજા અપાઈ ત્યારે તેમના ચહેરા પર સ્મિત હતું અને હ્રદયમાં સંતોષનો ભાવ,સુનીતાબેન પરમાર સિવિલ હોસ્પિટલના સ્ટાફના માયાળુ વ્યવહારથી પ્રભાવિત થયા
૧૭ માર્ચ, ૨૦૨૧ એ ભાવેશભાઈ નરેન્દ્રભાઈ દેસાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેઓ કોવીડના સંક્રમણનો ભોગ બન્યા હતા. ભાવેશભાઈ ૨૭ દિવસથી વધુ સમય મેડિસિટી(સિવિલ સંકુલ)માં સારવાર હેઠળ રહ્યા. હવે તેમનો કોવીડ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તે સ્વસ્થ છે. તેમના સિવિલ સંકુલમાં મેળવેલી સારવારનો અનુભવ વર્ણવતા કહે છે કે, સિવિલ ખાતેની ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં મારી ઉત્તમ સારવાર કરવામાં આવી. આ હોસ્પિટલમાં સારવારથી માંડીને ભોજન અને અન્ય સુવિધાઓથી ભાવેશભાઈ અત્યંત પ્રભાવિત થયા છે.
ભાવેશભાઈ માને છે કે,ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં વધુ લાભ છે. સિવિલ હોસ્પિટલ અંગે ખોટી અફવા ફેલાવવામાં આવે છે, ખરેખર તો અહીંનું વ્યવસ્થાપન ઉત્તમ છે, તેમ ભાવેશભાઈ ઉમેરે છે.ભાવેશભાઈ તેમનો અનુભવ વર્ણવતા કહે છે, કે સિવિલ હોસ્પિટલમાં તબીબોથી માંડીને સહાયક સ્ટાફનું વર્તન ઘણું માયાળુ છે. અને તે દર્દીઓની ખૂબ કાળજી રાખે છે. સિવિલમાં ભોજન, દવા બધુ સમયસર મળે છે.
ભાવેશભાઈની જેમ જ સુનિતાબેન પરમારનો પણ સિવિલ હોસ્પિટલનો અનુભવ અદભૂત રહ્યો. સુનિતાબેન નિખાલસપણે એકરાર કરતા કહે છે કે સિવિલ હોસ્પિટલ અંગે મારા મનમાં ગેરસમજણ હતી,તે દુર થઈ છે. સિવિલ હોસ્પિટલમાં સ્ટાફનું વલણ ઘણુ સહકારભર્યું છે વળી, ઔષધ અને આહારનું સરસ રીતે વ્યવસ્થાપન કરવામાં આવે છે. સુનિતાબેનને સિવિલની સ્વચ્છતા પણ ઘણી પસંદ આવી.આમ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ભારે ધસારા વચ્ચે પણ તબીબો માનવતાની મહેક પ્રસરાવી લોકો માટે દેવદૂત બની રહ્યા છે.
અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24×7 કાર્યરત છે.
તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264
મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હેલ્પલાઇ નંબર – 940976697
આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) – 079-49017074 / 079-49017075
યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ – 90999 55247 / 90999 55248
જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) – 079-22690000
ઉપરોક્ત, તમામ નંબર 24×7 કાર્યરત છે. આ નંબર પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીની સ્વાસ્થય સ્થિતિ અંગે માહિતી મેળવી શકાશે. આમ, સિવિલ મેડિસિટીના વહીવટીતંત્ર એ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.