નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ 2 સપ્ટેમ્બર, 2021ના રોજ સત્ર 4 માટે JEE મુખ્ય પરીક્ષા 2021નું સમાપન કર્યું છે. JEE મુખ્ય પરીક્ષાનું પરિણામ 10 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકશે. પરિણામ તપાસવા માટે, ઉમેદવારોએ અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરવું પડશે.
જેઇઇ મેઇન 2021 પાસ કરનારા ટોચના 2,50,000 ઉમેદવારો જેઇઇ એડવાન્સ્ડ 2021 માટે અરજી કરવા પાત્ર રહેશે. આ વર્ષે, જેઈઈ મેઈન ચાર સત્રોમાં લેવામાં આવી હતી. જે ઉમેદવારો એક કરતા વધારે સત્ર માટે હાજર થયા છે, પરીક્ષામાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન મેરિટ યાદી અથવા અંતિમ પરિણામ માટે ધ્યાનમાં લેવામાં આવશે.
JEE મેઈન 2021 ચોથા સત્રના પરિણામ સાથે, NTA ઓલ ઈન્ડિયા રેન્ક લિસ્ટ અને કેટેગરી પ્રમાણે કટ ઓફ જાહેર કરશે. JEE એડવાન્સ્ડ 3 ઓક્ટોબરે યોજાનાર છે અને તેનું પરિણામ 15 ઓક્ટોબરે જાહેર થશે. JEE Advanced ના પરિણામ બાદ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) લેવામાં આવશે. JEE એડવાન્સ્ડ AAT IITમાં આર્કિટેક્ચર પ્રોગ્રામમાં એડમિશન માટે છે અને 15 ઓક્ટોબરના રોજ નિર્ધારિત છે.
ખાનગી સંસ્થા એફિનીટી એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો દ્વારા જેઇઇ (મેઇન્સ) પરીક્ષામાં કથિત હેરફેરના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે 19 સ્થળો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એજન્સીએ બુધવારે આ મામલે કેસ નોંધ્યો હતો અને ગુરુવારે પરીક્ષા પૂરી થયા બાદ દરોડા પાડ્યા હતા. IITs (Indian Institute of Technology) અને NITs (National Institute of Technology) માં પ્રવેશ માટે પ્રતિષ્ઠિત JEE (મેઈન્સ) પરીક્ષા ખૂબ મહત્વની છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સીબીઆઈની ટીમોએ દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, પૂણે, જમશેદપુર, ઈન્દોર અને બેંગલુરુમાં 19 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીએ જણાવ્યું હતું કે, “દરોડા દરમિયાન મોટી સંખ્યામાં પીડીસી (પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ) વિવિધ વિદ્યાર્થીઓની માર્કશીટ સાથે 25 લેપટોપ, સાત કોમ્પ્યુટર, પછીની તારીખના લગભગ 30 ચેક મળી આવ્યા હતા.”