કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને (Union Petroleum Minister) પેટ્રોલ અને ડીઝલની (Petrol-Diesel Prices) આસમાને ચઢતી કિંમતો અંગે મોટું નિવેદન આપ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોમાં વધારો થવાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. તેણે કહ્યું, પરંતુ આ વધારો અસ્થાયી છે જેને ધીરે ધીરે નીચે લાવવામાં આવશે. ઇંધણની કિંમતોમાં વધારાને કારણે દેશના ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની પાર પહોંચી ગઈ છે. દેશની રાજધાનીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 91.17 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 81.47 રૂપિયા હતો.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારાને કારણે ભારતે પણ તેલના ભાવમાં વધારો કરવો પડ્યો, પરંતુ આ હંગામી ગણી શકાય તેમ છે. ધીરે ધીરે ભાવ નીચે લાવવામાં આવશે. પેટ્રોલિયમ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યો બંને ઇંધણ પર ટેક્સ લે છે જે હાલમાં કોરોના પછીના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં મદદ કરી રહ્યા છે.
ક્રૂડ થયું મોંઘુ
તેલ ઉત્પાદક દેશોના સંગઠને તેલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. ગયા મહિને સાઉદી અરેબિયાની આગેવાનીમાં સંગઠન સાથે જોડાયેલા દેશોએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં રોજ 6.5 લાખ બેરલનો ઘટાડો કર્યો હતો. આ જ કારણ છે કે, દર અઠવાડિયે ક્રૂડના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને હવે ભાવ બેરલ દીઠ 70 ડોલર સુધી પહોંચ્યું છે.
બે અઠવાડિયાથી તેલના ભાવમાં વધારો થયો નથી
સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે અઠવાડિયામાં કોઈ ફેરફાર થયો નથી. તેલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા દર જારી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, સતત 15 દિવસે ગ્રાહકો માટે રાહતના સમાચાર રહ્યા છે, કારણ કે કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.