કેન્દ્ર સરકારે વર્ષ 2024 સુધીમાં જાહેર વિતરણ વ્યવસ્થા સહિત તેની તમામ યોજનાઓ દ્વારા પોષક તત્વોથી ભરપૂર ચોખા આપવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે દેશના 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જાહેરાત કરી હતી કે ભારત સરકારની તમામ યોજનાઓ દ્વારા ‘ફોર્ટિફાઈડ’ એટલે કે પોષક તત્વોથી ભરપૂર ચોખા આપવામાં આવશે.
એક વેબિનારને સંબોધતા કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે “જન વિતરણ ઈતિહાસમાં આ એક મહત્વનો સમય છે કે આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.” તેમણે એક સરકારી નિવેદનમાં જણાવ્યું હતું કે અમને એક સમયમર્યાદા આપવામાં આવી છે કે 2024 સુધીમાં અમારે સમગ્ર જાહેર વિતરણ વ્યવસ્થામાં પોષક તત્વોથી ભરપૂર ચોખા આપવાના રહેશે. ચોથા રાષ્ટ્રીય પોષણ મહિનાના પ્રસંગે પોષક તત્વોથી સમૃદ્ધ ચોખા પર વેબિનારનું આયોજન ખાદ્ય મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ખાદ્ય સચિવે કહ્યું કે પોષક તત્વોથી ભરપૂર ચોખા અને તેના ફાયદાઓ અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે માત્ર તેના વિશે જાગૃતિ ફેલાવવાથી માંગ વધશે. આ સાથે તે પોષક સમૃદ્ધ ચોખાની સ્વીકાર્યતામાં પણ સુધારો કરશે. જણાવી દઈએ કે દેશના સાત રાજ્યોએ પણ પૌષ્ટિક ચોખાનું વિતરણ શરૂ કર્યું છે. આ પ્રાયોગીક યોજના હેઠળ ઓગસ્ટ 2021 સુધીમાં લગભગ 2.47 લાખ ટન પોષક તત્વોથી ભરપૂર ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.
ફોર્ટિફાઈડ ચોખામાં આવશ્યક સૂક્ષ્મ પોષકતત્ત્વો, વિટામિન્સ અને ખનિજોનું પ્રમાણ કૃત્રિમ રીતે વધારવામાં આવે છે. જેમ સામાન્ય દરિયાઈ મીઠાને આયોડિન સાથે મિશ્રિત કરીને તેને આયોડાઈજ્ડ બનાવવામાં આવે છે, તેમ ચોખાને ફોર્ટીફાઈડ બનાવવાની આ રીતની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ચોખાની પોષણ ગુણવત્તામાં સુધારો થાય છે. ચોખાનું ફોર્ટિફિકેશન, ચોખામાં આવશ્યક સૂક્ષ્મ પોષકતત્વોની માત્રા વધારવા અને ચોખાની પોષણ ગુણવત્તા સુધારવા માટે એક ઉત્તમ રીત છે.
આ પણ વાંચો : ચીનથી આયાત કરવામાં આવતા આ માલ પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાની તૈયારીમાં ભારત, સ્થાનિક ઉત્પાદકોને થઈ રહ્યું છે નુકસાન
આ પણ વાંચો : જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે , જાણો વિગતવાર