રિન્યુએબલ એનર્જી પર સરકારના વધી રહેલા ભારની અસર જોવા મળી રહી છે. માર્ચ ક્વાર્ટરમાં ગત વર્ષની સરખામણીમાં સોલાર પાવર (Solar Power) કેપેસિટીના ઈન્સ્ટોલેશનમાં 50 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. એક રિસર્ચ કંપનીના રિપોર્ટમાં આ જાણકારી મળી છે. રિસર્ચ કંપની મેરકોમ ઈન્ડિયાએ બુધવારે આ જાણકારી આપી. જાન્યુઆરી-માર્ચ, 2022ના ત્રિમાસિક ગાળામાં ભારતમાં 3,000 મેગાવોટથી વધુની સૌર ક્ષમતા (solar capacity installations) સ્થાપન કરવામાં આવી છે. રિસર્ચ કંપનીએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ 50 ટકા વધુ છે. ગયા વર્ષના સમાન ગાળામાં બે હજાર મેગાવોટની સૌર ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવામાં આવી હતી. દેશમાં વીજળીની વધતી જતી માંગ અને કોલસા (Coal)ની વધતી કિંમત અને પર્યાવરણ પર પડતી અસરને ધ્યાનમાં રાખીને સરકાર રિન્યુએબલ એનર્જી પર પોતાનું ફોકસ વધારી રહી છે. આ માટે સરકાર સબસિડીથી લઈને જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. જેની અસર સૌર ઊર્જાના વિસ્તરણના સ્વરૂપમાં જોવા મળી રહી છે.
2022ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ભારતીય સૌર બજાર પર મેરકોમ ઈન્ડિયા રિસર્ચનો અહેવાલ જણાવે છે કે ભારતે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3,000 મેગાવોટથી વધુ સોલાર પાવર ક્ષમતાનો ઉમેરો કર્યો છે. આ વાર્ષિક ધોરણે 50 ટકાનો વધારો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022ના પહેલા ક્વાર્ટરમાં 2700 મેગાવોટ મોટાપાયે સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી હતી. આ ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે 23 ટકા અને વાર્ષિક ધોરણે 53 ટકાનો વધારો છે. સ્થાપિત થયેલ કુલ સૌર ક્ષમતાના 85 ટકા મોટાપાયે સોલાર પ્રોજેક્ટનો હિસ્સો છે. તે જ સમયે સમીક્ષા હેઠળના સમયગાળામાં રૂફટોપ સૌર ઊર્જાનો હિસ્સો 15 ટકા હતો. હવે ભારતની સૌર ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતા વધીને 52 હજાર મેગાવોટ થઈ ગઈ છે. મેરકોમ કેપિટલ ગ્રૂપના સીઈઓ રાજ પ્રભુએ જણાવ્યું હતું કે સરકારની થોડી મદદથી 2022માં 60,000 મેગાવોટના મોટાપાયે સોલાર પાવર ઈન્સ્ટોલેશનનો લક્ષ્યાંક પાર થઈ જશે.
બીજી તરફ કેન્દ્રીય ઉર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને થર્મલ પાવરમાંથી રિન્યુએબલ એનર્જી તરફના સંક્રમણ પર રાજ્ય-સ્તરની દેખરેખ સમિતિની રચના કરવા અને કૃષિમાં ડીઝલના ઉપયોગને રોકવા માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. દેખરેખ સમિતિ સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોની અધ્યક્ષતામાં કામ કરશે. ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “કેન્દ્રીય ઉર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોને ઉર્જા સંક્રમણ માટે રાજ્ય સ્તરની દેખરેખ સમિતિની રચના કરવા જણાવ્યું છે.