કોરોના કાળની થપાટ અનેક ઉધોગ ધંધાને વાગી ચુકી છે. જેને લઇને અનેક ઉધોગ ધંધાઓ માંડ માંડ ચાલી રહ્યા હતા, તે સાવ મૃતપાય સ્થિતીમાં મુકાઇ ચુક્યા છે. સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં સિરામીક્સ ઉધોગ (Ceramics Industry) ધમધમતો હતો. સમય જતા હવે સિરામીક્સ ઉધોગ કોરોના (Corona) ની થપાટ સામે મૃતપાય થઇ ચુક્યો છે. હાલમાં ઓછા ઉત્પાદન સાથે હવે માંડ બે ત્રણ એકમો જ ચાલુ હાલતમાં છે.
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સિરામીક્સ ઉધોગોએ ગુણવત્તાને લઇને દેશ-દુનિયામાં ઓળખ ઉભી કરી હતી. પરંતુ ટુંકા સમયમાં જ સિરામીક્સ ઉધોગ એક પછી એક મુશ્કેલીઓને કારણે પડી ભાંગ્યો છે. મંદી અને વિદેશી ઇમ્પોર્ટર સાથેની હરીફાઇને પગલે સિરામીક્સ ઉધોગની હાલત આમ પણ કફોડી હતી. આમ છતાં માંડ માંડ ચાલતા ઉધોગને હવે કોરોનાની થપાટે સંપૂર્ણ પણે મૃતપાય કરી દીધો છે.
સાબરકાંઠા જીલ્લાનો સિરામીક્સ ઉધોગ એકમોની દૃષ્ટીએ મોરબી બાદ બીજા સ્થાને હતો. છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળને લઇને રો-મટીરીયલની ચેઇન તુટી પડી. તેમજ એક્સપોર્ટ તેમજ સ્થાનિક બજારોમાં વેચાણ પણ બંધ જેવુ થઇ જવાથી ઉધોગને મોટો ફટકો પડ્યો છે.
સાબરકાંઠા સિરામીક ઉધોગ એસોસિયેશનના ઉપપ્રમુખ કમલેશ પટેલે આ અંગે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકડાઉન ને લઇને વધારે અસર થઇ છે. કોરોના પહેલા 14 જેટલા યુનિટ ચાલુ હતા. જે હાલમાં કોરોના કાળમાં માંડ 3 જેટલા યુનિટ ચાલુ છે. આમ મોટે ભાગે રો-મટીરીયલ અને શ્રમીકોને લઇને અસર પહોંચી છે.
સાબરકાંઠા જીલ્લામાં કોરોનાકાળ પહેલા નાના મોટા 14 એકમો કાર્યરત હતા. હાલમાં કોરોના કાળમાં ઉધોગોની વણસેલી સ્થિતીના ભોગે, સિરામીક્સ ઉધોગના માંડ ત્રણેક યુનિટ ચાલુ હાલતમાં છે. જેમાં પણ 50 ટકા કે તેથી ઓછુ ઉત્પાદન થઇ રહ્યુ છે. સિરામીક ઉધોગકારો આમ તો છેલ્લા કેટલાક વર્ષથી સરકાર પાસે મદદ માંગી રહ્યા હતા. હવે કોરોનાએ રહી સહી કસર પુરી કરી સિરામીક ઉધોગને મૃતપાય કરી દીધો છે. જે હવે બેઠા થવાની શક્યતા નહીવત બની ચુકી છે.
તો વળી છેલ્લા ત્રણ ચાર વર્ષમાં સિરામીક્સ ઉધોગના શ્રમીકો પણ મોટા પ્રમાણમાં ત્રણ વખત વતન પરત ગયા હતા. પહેલા 14 માસની બાળકીના રેપની ઘટનાના પ્રત્યાઘાતમાં પરપ્રાંતિય શ્રમીકો જતા રહ્યા હતા. ગત વર્ષે લોકડાઉનમાં પદયાત્રા કરી વતન ભણી ઉપડેલા શ્રમીકો વતનમાં ચાલ્યા ગયા. ચાલુ સાલે પણ કોરોનાની બીજી લહેરમાં શ્રમીકો ચાલ્યા ગયા.
આમ એક બાદ એક સમસ્યા સિરામીક્સ ઉધોગને સતાવતી ગઇ. ઉધોગકારોનુ કહેવુ છે, આ ફટકો માત્ર ઉધોગોને જ નહી પરંતુ સરકારને પણ પડી રહ્યો છે. ઉધોગોનુ ઉત્પાદન અને વેચાણ ઘટતા આ ઉધોગોના ટેક્સ પણ બંધ થવા લાગ્યા છે.