સરકારે દેશવાસીઓને સુરક્ષા પ્રદાન કરવા માટે વર્ષ 2015માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એટલે કે PMJJBY અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એટલે કે PMSBY શરૂ કરી હતી. 7 વર્ષ બાદ સરકારે (Central Government)આ બંને વીમા યોજનાઓના પ્રીમિયમમાં વધારો કર્યો છે. હવે આ બંને સ્કીમના ખરીદદારોએ દરરોજ 1.25 રૂપિયા ખર્ચવા પડશે. આ બંને વીમા(Insurance) યોજનાઓ બેંકોના ખાતાધારકોને આપવામાં આવે છે અને પ્રીમિયમની રકમ પણ ખાતામાંથી જ ઓટોમેટિક કપાઈ જાય છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયાથી વધારીને 436 રૂપિયા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. પ્રીમિયમના આ નવા દર 1 જૂનથી લાગુ થઈ ગયા છે. હવે આવો જાણીએ કે પ્રીમિયમ વધવાથી કેટલા લોકોને અસર થશે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર 31 માર્ચ 2022 સુધીમાં PMJJBY પાસે 6.4 કરોડ અને PMSBY 22 કરોડ ગ્રાહક હતા. આ ઉપરાંત PMSBY ની શરૂઆતથી 31 માર્ચ 2022 સુધી પ્રીમિયમ તરીકે 1,134 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી છે અને 2,513 કરોડ રૂપિયાના ક્લેઇમ ચૂકવવામાં આવ્યા છે. એ જ રીતે PMJJBY માં પ્રીમિયમ તરીકે રૂ. 9,737 કરોડની રકમ જમા કરવામાં આવી હતી અને રૂ. 14,144 કરોડના ક્લેઇમ ચૂકવવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના સબસ્ક્રાઈબરના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ જો વીમાધારક વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય છે અથવા અપંગ થઈ જાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે.
નાણા મંત્રાલયે કહ્યું કે જ્યારે આ બંને યોજનાઓ 2015માં શરૂ કરવામાં આવી હતી ત્યારે તેમના વાર્ષિક પ્રીમિયમ ક્લેમનો નિર્ણય અનુભવના આધારે કરવામાં આવ્યો હતો. 31 માર્ચ 2022ના રોજ PMJJBY નો ક્લેમ રેશિયો 145 ટકા છે અને PMSBY નો ક્લેમ રેશિયો 221 ટકાથી વધુ છે. પ્રીમિયમની સરખામણીમાં કંપની દ્વારા ચૂકવવામાં આવેલા દાવાની સંખ્યાને ક્લેમ રેશિયો કહેવામાં આવે છે. ધારો કે વીમા કંપનીએ એક વર્ષમાં કુલ રૂ. 100નું પ્રીમિયમ મેળવ્યું અને તે જ સમયગાળામાં 145 ક્લેમ ચૂકવ્યા તો તેનો ક્લેમ રેશિયો 145 ટકા હશે.