Vijay Mallya ને ક્યારે ભારત લાવવામાં આવશે? આ સવાલનો જવાબ હજી મળ્યો નથી. ત્યારે બ્રિટને શુક્રવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે. તેનો કોઈ શોર્ટકટ નથી.
Vijay Mallya યુકેની સુપ્રીમ કોર્ટમાં ગયા વર્ષે મે મહિનામાં ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ હારી ગયા હતા. ભારત તેના મની લોન્ડરિંગના મામલા પર પણ ધ્યાન આપી રહ્યું છે. માલ્યાનું ક્યારે પ્રત્યાર્પણ કરવામાં આવશે અને આ મામલે હજી કોઈ કાયદેસરનો મુદ્દો બાકી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા યુકેના નવા હાઈ કમિશનર એલેક્સ એલિસે કોઈ પણ કેસનું નામ લીધા વિના કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓને ભારત લાવવાની તાત્કાલિકતાને સમજે છે.
તેમણે કહ્યું કે પ્રત્યાર્પણનો કેસ વહીવટી તેમજ કાનૂની છે અને તે કોર્ટમાં છે. માલ્યા કેસમાં વહીવટીતંત્ર દ્વારા જે કરવાનું હતું તે ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. હવે આ કેસ ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે. આમાં જે કરવાનું છે તે ન્યાયાધીશો દ્વારા કરવાનું છે.
મહત્વનું છે કે, વિજય માલ્યા બ્રિટનમાં જામીન પર છે. માલ્યા પર 17 ભારતીય બેંકો ના 9,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. માલ્યા 2 માર્ચ, 2016 ના રોજ ભારત છોડીને બ્રિટન ભાગી ગયા હતા. ભારતીય એજન્સીઓએ બ્રિટીશ કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી. બ્રિટીશ કોર્ટે 14 મેના રોજ લાંબી લડાઇ બાદ માલ્યાના પ્રત્યાર્પણની અપીલ પર મહોર મારી દીધી હતી. જો કે કાયદાની આંટીધુટીના કારણે તેમને હજી સુધી ભારત લાવી શકાશે નહીં.