Confederation of All India Traders (CAIT) ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવન ખાતે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન શ્રી પિયુષ ગોયલને મળીને વિનંતી કરી હતી કે, વર્તમાન ઇ-કૉમર્સ (e-commerce) વ્યવસાયમાં કેટલીક કંપનીઓ જે રીતે તેમની મનમાની કરી વેપાર ખરાબ કરી રહી છે, તે જોતા ઈ-કોમર્સ વ્યવસાયના ધોરણોને સ્પષ્ટ કરવા અને હિતધારકો માટે વ્યવસાયમાં સમાન તકોની ખાતરી કરવી જરૂરી છે.
તેમણે આ પણ અનુરોધ કર્યો છે કે, આ મુદ્દે તાત્કાલિક સુધારાત્મક પગલા લેવામાં આવે જેથી કોઈ પણ ઈ-કોમર્સ કંપની તે નાની હોય કે મોટી ભારતીય હોય કે વિદેશી તે કોઈ પણ સંજોગોમાં કાયદાનું ઉલ્લંઘન કરવાની હિંમત ન કરે અને ભારતને એક ડમ્પિંગ યાર્ડ સમજવાની ભૂલ ન કરે.
FDI નીતિનું ઉલ્લંઘન
હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, ઘણી વિદેશી ભંડોળવાળી ઈ-કોમર્સ કંપનીઓ સરકારની FDI નીતિ જ નહીં પણ ફેમા એક્ટનું પણ ઉલ્લંઘન કરી રહી છે. તેઓ ભારતને એક ખુલ્લું રમતનું મેદાન માને છે, જ્યાં કાયદા નબળા છે અને તેઓ તેમની સુવિધા માટે કોઈપણ સમયે નિયમોમાં ફેરફાર કરી શકે છે. આ કંપનીઓને હવે એક કડક પાઠ આપવો જોઈએ જેથી પોતાને કાયદાથી ઉપર ન ગણી શકે.
નિયમોનું પાલન જરૂરી
પિયુષ ગોયલે બધુ ધ્યાનથી સાંભળ્યા પછી કહ્યું હતું કે, ભારતની દરેક ઇ-કોમર્સ વ્યાપારી સંસ્થાએ નિયમો અને કાયદાઓનું પાલન કરવું જરૂરી છે અને ભારતના નાના વેપારીઓના હિતો માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર પહેલેથી જ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને તમામ પાસાઓ સઘન રીતે ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.
કંપનીઓ ગ્રાહકોને પ્રભાવિત કરવાનું બંધ કરે
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇ-કોમર્સ માટે નિર્ધારિત નીતિ અને નિયમોનું પાલન કરવું પડશે. જો કે, તેમણે વેપારીઓને સલાહ આપી છે કે, રિટેલ વેપારના વર્તમાન વ્યવસાયિક બંધારણમાં નવી તકનીકનો સ્વીકાર કરવો, જે સમયની જરૂરિયાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં ગ્રાહકોને પ્રભાવિત કરવો તે નિયમોની વિરુદ્ધ છે.