1 જુલાઈથી કેન્દ્ર સરકાર 4 નવા લેબર કોડ (New Labour Code) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. નવા લેબર કોડના અમલ પછી દેશના દરેક ઉદ્યોગ અને ઓફિસમાં મોટા ફેરફારો જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે નવા લેબર કોડના અમલ બાદ કર્મચારીના કામકાજના કલાકો, હાથમાં આવનારો પગાર અને પ્રોવિડન્ટ ફંડ (PF)માં ફેરફાર જોવા મળશે. રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે સરકાર 1 જુલાઈથી નવો લેબર કોડ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. નવા લેબર કોડની અસર સામાજિક સુરક્ષા જેવી કે દૈનિક વેતન, પગાર, પેન્શન અને ગ્રેચ્યુઈટી, શ્રમ કલ્યાણ, આરોગ્ય, કામના કલાકો, રજાઓ વગેરે પર જોવા મળશે.
ચાલો જાણીએ કે નવા લેબર કોડના અમલ પછી દર મહિને પગાર, રજા અને કામના કલાકોમાં શું ફેરફાર થશે. દેશના 23 રાજ્યોએ કેન્દ્રના લેબર કોડ અનુસાર તેમના શ્રમ કાયદાઓ બનાવ્યા છે. હવે આ કાયદાઓને લાગુ કરવાની રાહ જોવાઈ રહી છે. કેન્દ્ર સરકારે લેબર કોડ સંબંધિત કાયદાઓ સંસદમાંથી પાસ કરાવી લીધા છે.
કર્મચારીઓનું મુખ્ય ધ્યાન કામના કલાકો પર છે. નવા કોડમાં એવી જોગવાઈ છે કે અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસ આરામ આપવામાં આવશે. ઉપરાંત તમારે દિવસમાં વધુમાં વધુ 12 કલાક અને અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે. આની ગણતરી કરીએ તો ચાર દિવસના કામના હિસાબે રોજના 12 કલાક કર્મચારીએ ફરજ બજાવવાની રહેશે. કર્મચારીએ આ સમયગાળાથી વધુ કામ કરવું પડશે નહીં, ન તો કંપનીઓ કર્મચારીઓ પાસેથી વધુ કામ લઈ શકશે. હવે તે કંપનીઓ પર નિર્ભર કરે છે કે તેઓ તેમની કાર્યશૈલી કેવી રીતે બદલે છે અને તેઓ કેવી રીતે કામનું સંચાલન કરે છે.
કામના કલાકોની સાથે ઓવરટાઈમ પણ નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ, અઠવાડિયામાં વધુમાં વધુ 50 કલાકનો ઓવરટાઈમ લઈ શકાતો હતો. હવે તેને વધારીને 125 કલાક કરવામાં આવ્યા છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે ચાર દિવસના કામના કારણે બાકીના ત્રણ દિવસ કર્મચારીઓની અછત સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કંપનીઓ બહારના લોકો પાસેથી ઓવરટાઈમ મેળવીને પોતાનું કામ પૂરું કરી શકે છે.
નવા લેબર કોડ હેઠળ કર્મચારીનો બેઝિક સેલરી કુલ સેલરીના ઓછામાં ઓછા 50% હોવી જોઈએ. તેનાથી એવી અસર થશે કે કર્મચારીઓના EPF ખાતામાં વધુ પૈસા જમા થશે. કર્મચારીના ખાતામાંથી ગ્રેચ્યુઈટીના પૈસા પણ વધુ કપાશે. આનાથી દર મહિને હાથમાં આવતો પગાર ઓછો થઈ શકે છે. જો કે કર્મચારી સામાજિક સુરક્ષાના સંદર્ભમાં પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે. તેમના નિવૃત્તિ લાભો પણ વધશે.
નવા લેબર કોડમાં રજાઓના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ નોકરીની શરત 240 દિવસની હતી, જે ઘટાડીને 180 દિવસ કરવામાં આવી છે. એટલે કે, કર્મચારી 180 દિવસ અથવા 6 મહિનાની ફરજ પછી રજા માટે અરજી કરી શકે છે. પહેલા આ સમયગાળો 240 દિવસનો હતો. અનર્ડ રજાના નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 20 દિવસ કામ કર્યા પછી એક અનર્ડ લીવ મળશે. રજાને કેરી ફોરવર્ડ કરવાના નિયમમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેરી ફોરવર્ડમાં તમને રજાના થોડા દિવસો માટેના પૈસા મળશે, જ્યારે મોટાભાગની રજાઓ આગામી વર્ષમાં કેરી ફોરવર્ડ કરવામાં આવશે.
Published On - 5:21 pm, Sun, 12 June 22