લખનઉમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની 45મી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ હેઠળ 1 જાન્યુઆરી, 2022થી સંક્ષીપ્ત રિટર્ન (summary return) ફાઈલ કરવાનું અને મંથલી જીએસટીની ચુકવણી ટાળનારી કંપનીઓને આગામી મહિના માટે જીએસટીઆર -1 વેચાણ રિટર્ન (GSTR-1 sales return) ફાઈલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આમાં કંપનીઓ અથવા વ્યવસાયકારો માટે રિફંડનો દાવો કરવા માટે આધાર વેરીફિકેશનને ફરજિયાત બનાવવાનો પણ સમાવેશ થાય છે.
આ પગલાઓથી GSTની ચોરીના કારણે આવકમાં થતું નુકસાન અટકાવી શકાશે એવું માનવામાં આવી રહ્યું છે, જીએસટી વ્યવસ્થા 1 જુલાઈ, 2017થી અમલમાં આવી હતી. જીએસટી કાઉન્સિલે 1 જાન્યુઆરી, 2022થી કેન્દ્રીય જીએસટી નિયમના (Central GST Rules) નિયમ 59 (6)માં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત જો રજિસ્ટર્ડ વ્યક્તિએ પાછલા મહિના માટે ફોર્મ જીએસટીઆર – 3બી (GSTR-3B)માં રિટર્ન ફાઈલ કર્યું નથી તો તેને જીએસટીઆર-1 (GSTR-1) સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
હાલમાં જો કંપનીઓ સતત બે મહિના સુધી જીએસટીઆર-3બી (GSTR-3B) સબમિટ કરવાનું ચુકી જાય છે તો પછી તેમને વેચાણ રીટર્ન અથવા જીએસટીઆર – 1 (GSTR-1) સબમિટ કરવાની મંજૂરી નથી. કંપનીઓને કોઈપણ મહિના માટે જીએસટીઆર-1 પછીના 11માં દિવસ સુધી જમા કરાવવાનું હોય છે. બીજી બાજુ જીએસટીઆર -3બી જેના દ્વારા કંપનીઓ ટેક્સની ચુકવણી કરે છે, તે પછીના મહિનાની 20મીથી 24મી તારીખ સુધી સબમિટ કરવાનું હોય છે.
આ ઉપરાંત કાઉન્સિલે જીએસટી રજીસ્ટ્રેશન માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. કંપની આધાર વેરિફિકેશન બાદ જ રિફંડ માટે દાવો કરી શક્શે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ 21 ઓગસ્ટ, 2020થી જીએસટી રજિસ્ટ્રેશન માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું હતું.
કાઉન્સિલે હવે નક્કી કર્યું છે કે કંપનીઓએ તેમના જીએસટી રજીસ્ટ્રેશનને બાયોમેટ્રિક આધાર સાથે લિંક કરવું પડશે તો જ તેઓ રિફંડ માટે દાવો કરી શકે છે અથવા રદ થયેલા રજીસ્ટ્રેશનને એક્ટીવ કરવા માટે અરજી કરી શકશે.
આ પણ વાંચો : Petrol Diesel Price: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, સ્થાનિક ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે આ નિર્ણય લીધો
આ પણ વાંચો : GST કાઉન્સિલની 45મી બેઠક: Swiggy-Zomato જેવી એપમાંથી ભોજન મંગાવવુ થયું મોંઘું, જાણો શું શું થયું સસ્તું