MONEY9: TDSના નવા નિયમ થયા લાગુ, જાણો કોના પર પડશે અસર

1 જુલાઈથી અમલી થયેલા TDSના નિયમો અંગે વિગતવાર સૂચનો બહાર પાડ્યા છે. નવા નિયમ અનુસાર કોઈ વ્યક્તિને એક નાણાકીય વર્ષમાં 20,000 રૂપિયાથી વધુ લાભ પ્રાપ્ત થાય તો તેણે 10 ટકા TDS ચૂકવવો પડશે.

MONEY9: TDSના નવા નિયમ થયા લાગુ, જાણો કોના પર પડશે અસર
New TDS rule effective from July 2022
| Edited By: | Updated on: Jul 19, 2022 | 5:11 PM

MONEY9: તાજેતરમાં આવકવેરા વિભાગની સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ બિઝનેસ કે પ્રૉફેશન દ્વારા મળતાં લાભ પર ટીડીએસ (TDS)ના નવા નિયમો જાહેર કર્યાં છે. ટીડીએસ સંબંધિત આ નવા નિયમ 1 જુલાઈ, 2022થી લાગુ થયા છે અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરને પણ ટીડીએસના દાયરામાં સમાવવામાં આવ્યા છે. નવો નિયમ કહે છે કે, જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં 20 હજાર રૂપિયા અથવા તેનાથી વધુ રકમનો લાભ કોઈ ભારતીયને આપતો હોય તો તેણે 10 ટકાના દરે ટીડીએસ કાપવો પડશે. તો ચાલો, હવે એ પણ સમજીએ કે ક્યારે અને ક્યાં TDS કપાશે.

નવી કલમ શું કહે છે?

CBDT માને છે કે લાભ રોકડમાં અથવા કોઈ ચીજવસ્તુના સ્વરૂપમાં અથવા તો આ બંને સ્વરૂપમાં મળી શકે છે. આવકવેરા કાનૂનમાં એક નવી કલમ 194R ઉમેરવામાં આવી છે અને તેની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે 2022ના બજેટમાં કરી હતી. આ કલમ ત્યારે લાગુ થશે જ્યારે કોઈ વ્યક્તિ રોકડ કે કોઈ વસ્તુ કે સ્પૉન્સર ટ્રીપ, ફોરેન હવાઈ ટિકિટ કે IPLની ફ્રી ટિકિટ અન્ય વ્યક્તિને આપશે તો આવો લાભ મેળવનાર વ્યક્તિ માટે તેને બિઝનેસ કે પ્રોફેશન દ્વારા થતી આવક ગણવામાં આવશે.

નવા નિયમ અનુસાર ડોક્ટરને મળતા ફ્રી મેડિકલ સેમ્પલ તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરને મળતી ગિફ્ટ પર પણ હવે TDS લાગશે. વેચાણ વધારવા માટે જે બેનિફિટ આપવામાં આવે છે તેના માટે આ નિયમ લાગુ થશે. આવા બેનિફિટમાં રોકડ રકમ હોય કે પછી કાર, ટીવી, કમ્પ્યૂટર, સોનાના સિક્કા, મોબાઈલ ફોન જેવી ચીજવસ્તુઓ હોય કે ફોરેન ટૂર કે કોઈ કાર્યક્રમની ફ્રી ટિકિટ વગેરેનો સમાવેશ થાય છે.

TDSનો નિયમ ક્યારે લાગુ નહીં થાય?

સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરના કિસ્સામાં જો કોઈ કંપની પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે કોઈ ગેજેટ આપે તો તેના પર TDS કાપવો ફરજિયાત છે. જોકે CBDTએ એક વાત સ્પષ્ટ કરી છે કે જો આ ગેજેટ કે ઉપકરણ થોડા સમય પછી કંપનીને પાછું આપી દેવામાં આવે તો તેવા કિસ્સામાં TDSનો નિયમ લાગુ નહીં થાય.

ડોક્ટરની વાત કરીએ તો જો કોઈ ડોક્ટર કોઈ હોસ્પિટલમાં નોકરી કરતો હોય અથવા સલાહકાર તરીકે કામ કરતો હોય અને જો કોઈ કંપની તેને દવાનું ફ્રી સેમ્પલ આપે તો ત્યાં પણ TDSનો નિયમ લાગુ થશે. ડોક્ટર પોતે હોસ્પિટલનો કર્મચારી હોવાથી આવા કિસ્સામાં હોસ્પિટલના લેવલે આ TDS કાપવામાં આવશે. કેવા કિસ્સામાં TDS નહીં કપાય?

ટેક્સ વિભાગે સેલ્સ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ અને ગ્રાહકોને આપવામાં આવતી છૂટને TDSના નવા નિયમથી દૂર રાખીને થોડીક રાહત આપી છે. જોકે, એક જોગવાઈ હેઠળ જો આ પ્રકારના ડિસ્કાઉન્ટ સિવાય કોઈ અન્ય પ્રકારના ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો TDSનો નવો નિયમ લાગુ થશે.

ITR ફાઈલિંગનો નિયમ 

એપ્રિલ-2022માં લાગુ થયેલા ઈન્કમ ટેક્સના નવા નિયમો અનુસાર જે વ્યક્તિનો TDS કે TCS એક નાણાકીય વર્ષમાં 25,000 રૂપિયા કે તેનાથી વધારે હશે તો તેના માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે. સીનિયર સીટિઝન હોય તો આઈટીઆર ફાઈલ કરવા માટે કુલ TDS કે TCSનો આંકડો 50,000 રૂપિયા કે તેનાથી વધારે હોવો જરૂરી છે. કેન્દ્ર સરકારે મહત્તમ લોકોને ટેક્સના દાયરામાં સમાવવા માટે ITR ફાઈલિંગનો વ્યાપ વધાર્યો છે.

ટેક્સ એક્સપર્ટનો મત

ટેક્સ એક્સપર્ટ પંકજ મઠપાલનું કહેવું છે કે, “જે કરદાતા કોઈ બિઝનેસ કે પ્રોફેશન સાથે ન જોડાયેલા હોય તેમના પર નવી ધારા 194R લાગુ નહીં થાય. B2C લાભ પણ 194Rના દાયરામાં નહીં આવે. પરંતુ, જે લોકોએ એસેસમેન્ટ યર 2021-22માં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કર્યું હોય અને નાણાકીય વર્ષ 2020-21માં તેમનો કુલ TDS અને TCS 50,000 રૂપિયાથી વધુ થતો હશે તો આવા સંજોગોમાં ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં તેમણે ઊંચા દરે TDS ભરવો પડશે. TDSનો ઊંચો દર માત્ર પ્રોફેશનલ ફી, કોન્ટ્રાક્ટ પેમેન્ટ જેવા વ્યવહાર પર લાગુ થશે, વેતનની ચુકવણી પર તે લાગુ નહીં થાય.”