Indian Railways : કોરોનાના સંકટ વચ્ચે રેલવે સુવીધા સંપુર્ણ રીતે પ્રભાવીત થઈ હતી. જેના કારણે રેલવે વિભાગની આવકમાં મોટું નુકસાન થયું હતું. આ તમામની વચ્ચે રેલવેએ ભંગારના (Scrap) વેચાણથી સારો નફો મેળવ્યો છે. જેનાથી નુકસાનને પહોંચી વળવામાં મદદ મળી હતી. માહિતીના અધિકાર (RTI) હેઠળ મળેલા જવાબમાં ખુલાસો થયો છે કે, 2020-21 માં રેલવેને સ્ક્રેપના વેચાણથી અત્યાર સુધીની સૌથી વધુ 4,545 કરોડ રૂપિયાની આવક થઈ છે.
આ પહેલા 2010-11 માં રેલવેએ ભંગારનું વેચાણ કરીને 4,409 કરોડની આવક મેળવી હતી. RTI એક્ટ હેઠળ મધ્યપ્રદેશના ચંદ્ર શેખર ગૌર દ્વારા માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રેલવે બોર્ડે જણાવ્યું કે, કોવિડ-19 રોગચાળાથી અસરગ્રસ્ત 2020-21 માં રેલવેએ ગત વર્ષ કરતા ભંગાર દ્વારા 5 ટકા વધુ આવક મેળવી છે. સાથે જ જણાવ્યું કે, 2019-20માં 4,333 કરોડ રૂપિયાના ભંગાર મટિરિયલનું વેચાણ થયું હતું, જ્યારે વર્ષ 2020-21 માં સ્ક્રેપમાંથી 4,575 કરોડની આવક થઈ છે.
આ મામલે વાત કરતા રેલવે વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ આંકડો 2020-21 કોરોના રોગચાળા દરમિયાન 2020-21 ના પહેલા ક્વાર્ટરમાં લગભગ શૂન્ય વેચાણ પ્રવૃત્તિ હોવા છતાં પ્રાપ્ત થયો છે. ખાસ કરીને 2020-21 ના છેલ્લા ક્વાર્ટર દરમિયાન ભંગારના વેચાણમાં વેગ મળ્યો હતો. ઝોનલ રેલવેના સબંધિત વિભાગો વચ્ચેના સહયોગથી ન માત્ર લક્ષ્ય પ્રાપ્ત થયું પરતું તેને પણ પાર કરી દીધુ હતું. ઝોનલ રેલવે અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા સૌથી વધુ 491 કરોડ રૂપિયાનો આંકડો પ્રાપ્ત થયો છે.
ભંગારમાં જૂના ટ્રેક, જૂના સ્ટ્રક્ચર્સ, જૂના એન્જિન અને કોચ વગેરે જેવી ચીજો શામેલ છે. માર્ગોના ઝડપી વીજળીકરણ દરમિયાન, ડીઝલ એન્જિનો બદલાઈ રહ્યા છે. જયારે ફેક્ટરીઓમાં ઉત્પાદન દરમિયાન વધુ જંક મટિરિયલ ઉત્પન્ન થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ રેલવેની આવકનો સારો સ્રોત રહ્યો છે. રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ, સ્ક્રેપના વેચાણની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે, વેસ્ટ વસ્તુઓની હરાજી ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવી છે. હલે રેલવે બોર્ડે નાણાકીય વર્ષ 2021-22 માટે ભંગારના વેચાણથી 4,100 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.
આ પણ વાંચો: એક વર્ષમાં અમૂલના વેપારમાં આટલા કરોડનો થયો વધારો, જાણો દરરોજ કેટલા લાખ લિટર વેચાય છે દૂધ