નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ (Minister of State for Finance Pankaj Choudhary) સોમવારે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું વિદેશી મુદ્રા ભંડાર (foreign exchange reserves) ધરાવે છે. તેમણે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે 19 નવેમ્બર 2021ના રોજ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 640.4 અરબ ડોલર છે.
19 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 2.713 અરબ ડોલર ઘટીને 637.687 અરબ ડોલર થયું છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર 19 નવેમ્બરના પહેલાના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 28.9 કરોડ ડોલર વધીને 640.401 અરબ ડોલર થઈ ગયું હતું. 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ચલણ અનામત 642.453 અરબ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું હતું.
રિઝર્વ બેંક માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આરબીઆઈ નાણાકીય નીતિ નક્કી કરે છે, ત્યારે તે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે કે તેની પાસે કેટલું વિદેશી હૂંડિયામણ અનામત છે. જ્યારે આરબીઆઈની તિજોરીમાં ડોલર જમા થાય છે ત્યારે ચલણ મજબૂત બને છે.
આપણે જાણીએ છીએ કે ભારત મોટાપાયે આયાત કરે છે. જ્યારે પણ આપણે વિદેશીઓ પાસેથી કોઈ પણ સામાન ખરીદીએ છીએ, ત્યારે વ્યવહારો ડોલરમાં થાય છે. આવી સ્થિતિમાં આયાતમાં મદદ કરવા માટે વિદેશી હૂંડિયામણ અનામત હોવું જરૂરી છે. જો વિદેશથી આવતા રોકાણમાં અચાનક ઘટાડો થાય છે તો તે સમયે તેનું મહત્વ વધુ વધી જાય છે.
જો વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થાય છે તો તેનો અર્થ એ છે કે દેશમાં મોટાપાયે FDI આવી રહ્યું છે. અર્થતંત્ર માટે વિદેશી રોકાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં નાણાં ઠાલવતા હોય તો તે વિશ્વને સંકેત આપે છે કે ભારતીય અર્થતંત્રમાં તેમનો વિશ્વાસ વધી રહ્યો છે.
અન્ય એક પ્રશ્નના જવાબમાં ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા સાત નાણાકીય વર્ષમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઈઝ ડ્યુટી દ્વારા 16.7 લાખ કરોડ રૂપિયાની આવક એકત્ર કરવામાં આવી હતી. બીજી તરફ નાણા રાજ્યમંત્રી ભગવત કરડે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ એટીએમની સંખ્યા 2.13 લાખથી વધુ હતી અને તેમાંથી 47 ટકા ગ્રામીણ અને નાના વિસ્તારોમાં છે.
કેન્દ્ર સરકારે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન રાખવા માટે તેમની પાસે કોઈ યોજના વિચારણા હેઠળ નથી. આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન રાખવાની યોજના બનાવી રહી છે, ત્યારે તેલીએ કહ્યું, “આવી કોઈ યોજના સરકારની વિચારણા હેઠળ નથી.” તેમણે કહ્યું કે નૂર દર, વેટ અને સ્થાનિક વસૂલાત વગેરે જેવા વિવિધ પરિબળોને કારણે વિવિધ બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે.
પેટ્રોલ, ડીઝલ અને ગેસને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ લાવવા અંગેના પ્રશ્નના જવાબમાં તેલીએ જણાવ્યું હતું કે CGST કાયદાની કલમ 9(2) મુજબ GSTમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ કરવા માટે GST કાઉન્સિલની ભલામણની જરૂર પડશે. તેમણે કહ્યું “અત્યાર સુધી GST કાઉન્સિલે તેલ અને ગેસને GSTમાં સામેલ કરવાની ભલામણ કરી નથી.”
આ પણ વાંચો : ફેસબુકના સીઈઓની સુરક્ષામાં ખર્ચ થાય છે આટલા અરબ રૂપિયા, પણ તેમનો પગાર સાવ આટલો ! જાણીને નવાઈ લાગશે