એક તરફ લોકો ઓછી કમાણી(Income) અને મોંઘવારી(inflation)ના કારણે પૈસા માટે ફાંફાં મારાએ છે તો બીજી તરફ ગુજ્જુઓ બેંકમાં કરોડો રૂપિયા મૂકી તેને ભૂલી ગયા છે. બેંકે આવા ખાતેદારોને શોધવા અભિયાન હાથ ધરવું પડ્યું છે. આ સ્થિતિ માટે ગુજરાત નહિ પરંતુ દેશના કુલ 8 રાજ્યમાં છે. ભારતીય બેંકો પાસે દાવા વગરની રકમ (Unclaimed Amount) સતત વધી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2021-22માં બેંકોમાં દાવો ન કરાયેલી રકમ વધીને 48,262 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અગાઉના નાણાકીય વર્ષમાં આ રકમ 39,264 કરોડ રૂપિયા હતી. હવે આરબીઆઈએ આ દાવા વગરની રકમના દાવેદારોને શોધવા માટે અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંક તે 8 રાજ્યોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં મહત્તમ રકમ જમા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર જો કોઈ ઉપભોક્તા 10 વર્ષ સુધી તેના ખાતા સાથે કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરતું તો તે ખાતામાં જમા થયેલી રકમ દાવા વગરની(Unclaimed) થઈ જાય છે. જે એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન નથી થતું તે નિષ્ક્રિય(Dormant account) થઈ જાય છે. દાવો ન કરેલી રકમ બચત ખાતા, ચાલુ ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતામાં હોઈ શકે છે. દાવો ન કરેલી રકમ રિઝર્વ બેંકના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF)માં જમા કરવામાં આવે છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ રિઝર્વ બેંકના એક અધિકારીએ જણાવ્યું કે આમાંથી મોટાભાગની રકમ તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર અને તેલંગાણા/આંધ્ર પ્રદેશની બેંકોમાં જમા છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે બેંકો દ્વારા અનેક જાગૃતિ અભિયાનો કરવા છતાં સમયાંતરે દાવા વગરની રકમ સતત વધી રહી છે.
દાવા વગરની રકમ વધી રહી છે કારણ કે ઘણા ખાતા લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા છે. દર વર્ષે આવા ખાતાઓમાંથી પૈસા DEAF ને જાય છે. બેંક ખાતાની નિષ્ક્રિયતા માટે ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ખાતાધારકનું મૃત્યુ, પરિવારના સભ્યોને મૃતકના ખાતા વિશે ખબર ન હોવી, ખોટું સરનામું અથવા ખાતામાં કોઈ નોમિની નોંધાયેલ ન હોવું.
જો કોઈ દાવા વગરના ખાતાની રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ એકાઉન્ટમાં ગઈ હોય તો તેને પાછી મેળવવા માટે બેંકનો જ સંપર્ક કરવો પડશે. દાવા વગરની થાપણો વિશેની માહિતી સામાન્ય રીતે બેંકની વેબસાઇટ્સ પર જ ઉપલબ્ધ હોય છે. ખાતાધારકના પાન કાર્ડ, જન્મતારીખ, નામ અને સરનામું પરથી માહિતી મેળવી શકાય છે કે દાવા વગરની રકમ ખાતાધારકના ખાતામાં પડી છે કે નહીં.
Published On - 7:25 am, Thu, 28 July 22