આગામી સપ્તાહે ચંડીગઢમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં (GST Council Meeting) કેટલીક વસ્તુઓના GST દરોમાં ફેરફાર કરવામાં આવી શકે છે, જ્યારે 215 થી વધુ વસ્તુઓના દરોમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે ફિટમેન્ટ કમિટીની ભલામણોને સ્વીકારવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની (Nirmala Sitharaman) અધ્યક્ષતામાં અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની GST કાઉન્સિલની 47મી બેઠક 28-29 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. કાઉન્સિલની બેઠક છ મહિના બાદ મળી રહી છે. બેઠકમાં, દરને તર્ક સંગત બનાવવા ઉપરાંત, વિપક્ષ શાસિત રાજ્યો રાજ્યોને વળતરની ચૂકવણી અંગે ચર્ચા કરી શકે છે.
કર દરો પર ઓફિસર્સ કમિટી અથવા ફિટમેન્ટ કમિટી દ્વારા પ્રસ્તાવિત દરો પર વિચાર કરવામાં આવશે. સમિતિએ કૃત્રિમ અંગો અને ઓર્થોપેડિક પ્રત્યારોપણ પર એક સમાન 5% GST દરની ભલામણ કરી છે. સમિતિએ રોપ-વે મુસાફરી પરનો GST દર હાલના 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ પણ કરી છે.
આ ઉપરાંત, ઓસ્ટોમી ઉપકરણો પર GST દર હાલના 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો માટેના GST દરો પર સ્પષ્ટતા જાહેર કરવામાં આવશે, જે મુજબ EV, બેટરીથી સજ્જ હોય કે ન હોય, તેના પર પાંચ ટકાના દરે ટેક્સ લાગશે.
GST કાઉન્સિલમાં રાજ્યોના નાણા મંત્રીઓના જૂથના બે અહેવાલો પણ રજૂ કરવામાં આવશે. GST કાઉન્સિલની બેઠકમાં વિપક્ષ શાસિત રાજ્યો મહેસૂલી ખાધની ભરપાઈ ચાલુ રાખવાની જોરદાર હિમાયત કરશે. બીજી તરફ, કેન્દ્ર કડક નાણાકીય સ્થિતિને ટાંકીને આવા કોઈપણ પગલાને રોકવા માંગે છે.
GST (ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) વળતર ભંડોળની અછતને પહોંચી વળવા માટે, કેન્દ્રએ 2020-21માં રૂ. 1.1 લાખ કરોડ અને 2021-22માં રૂ. 1.59 લાખ કરોડની લોન લીધી હતી અને તેને રાજ્યો માટે જાહેર કર્યું હતું. સેસ વસૂલાતમાં અછતને કારણે આવું કરવામાં આવ્યું હતું.
લખનૌમાં GST કાઉન્સિલની 45મી બેઠક બાદ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, મહેસૂલની અછત માટે રાજ્યોને વળતર ચૂકવવાની સિસ્ટમ આવતા વર્ષે જૂનમાં સમાપ્ત થઈ જશે. દેશમાં 1 જુલાઈ, 2017 થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો અને GSTના અમલીકરણને કારણે કોઈપણ આવકના નુકસાન સામે રાજ્યોને પાંચ વર્ષના સમયગાળા માટે વળતરની ખાતરી આપવામાં આવી હતી.