સરકારે NSC અને PPF અને સુકન્યા સમૃદ્ધિ સહિતની નાની બચત યોજનાઓ પર ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે વ્યાજ દરોમાં (interest rate) કોઈ ફેરફાર કર્યો નથી. મોંઘવારીના ઉચ્ચા દરને કારણે અને મુખ્ય દરોમાં વધારાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નિર્ણય બાદ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (small savings scheme) 7.6 ટકા વ્યાજ મળતું રહેશે. જે નાની બચત યોજનાઓમાં સૌથી વધુ છે. તે જ સમયે પીપીએફ પર 7.1 ટકા અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વાર્ષિક 6.8 ટકાના દરે વ્યાજ ચાલુ રહેશે.
નાણા મંત્રાલયે આજે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ 2022 થી સપ્ટેમ્બર 2022) દરમિયાન વિવિધ નાની બચત યોજનાઓ પર વ્યાજનો દર યથાવત રહેશે. એટલે કે, બીજા ક્વાર્ટર દરમિયાન રોકાણકારોને તે જ દરે વ્યાજ મળશે, જે તેમને પ્રથમ ક્વાર્ટરમાં મળી રહ્યું છે. બીજી તરફ નવા રોકાણ પર પણ જૂના દરો ઉપલબ્ધ રહેશે. નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે જાહેર કરવામાં આવે છે. વધતી જતી મોંઘવારી અને પ્રમુખ દરોમાં વધારા બાદ દરો સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે મે અને જૂન દરમિયાન બે વખત રેપો રેટમાં 0.9 ટકાનો વધારો કર્યો છે. જે બાદ ઘણી બેંકોએ તેમના એફડીના દરમાં વધારો કર્યો છે. હાલ, મોંઘવારીનો દર 7 ટકાથી ઉપર છે, જે રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત મર્યાદાથી પણ વધુ છે.
મંત્રાલયના પરિપત્ર મુજબ PPF પર 7.10 ટકા, NSC પર 6.8 ટકા, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના ખાતામાં 6.6 ટકા અને વરિષ્ઠ નાગરિક બચત યોજના પર 7.4 ટકા વ્યાજ મળશે. 5 વર્ષની માસિક આવક યોજના પર વાર્ષિક 6.6 ટકાના દરે વ્યાજ મળશે. એક વર્ષની ડિપોઝિટ પર વ્યાજ દર 5.5 ટકા, જ્યારે 5 વર્ષની ડિપોઝિટ પર 6.7 ટકા વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની બચત યોજનામાં 7.4 ટકા વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને ત્રિમાસિક ધોરણે વ્યાજ મળે છે. આ સાથે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6 ટકા વ્યાજ મળશે. તે જ સમયે કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બચત યોજના પર 4 ટકા વ્યાજ ચાલુ રહેશે. એકથી પાંચ વર્ષ માટે ટર્મ ડિપોઝીટ પર 5.5થી 6.7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર 5.8 ટકા વ્યાજ મળશે.
નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. વ્યાજમાં કોઈ ફેરફાર ન હોવા છતાં પણ નાની બચત યોજનાઓ બેંક એફડી કરતાં વધુ સારું વળતર આપે છે. SBI બેંક FD વ્યાજ દર 2.9 ટકાથી 5.5 ટકા સુધીની છે. બેંક વરિષ્ઠ નાગરિકોને FD પર 3.4થી 6.3 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. એટલે કે, દરો સ્થિર રાખ્યા પછી પણ, નાની બચત યોજનાઓ પરનું વળતર બેંક એફડી કરતાં વધુ સારું છે.