ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ડૉ.ગીતા ગોપીનાથે કહ્યું છે કે ભારત 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત પહેલેથી જ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં તે ટોચની ત્રણ વૈશ્વિક આર્થિક શક્તિઓમાં સામેલ થવા જઈ રહી છે.
ગોપીનાથે કહ્યું કે ગત નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો વિકાસ અપેક્ષા કરતા ઘણો સારો રહ્યો છે. તમામ ક્ષેત્રોમાં ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રમાં ખાનગી વપરાશ વધ્યો છે. ટુ-વ્હીલરના વેચાણથી લઈને ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સુધીનો એકંદર વપરાશ વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં તેમને ટાંકવામાં આવ્યા છે કે સારા ચોમાસાથી સારા પાક અને કૃષિ આવકમાં વધારો થાય છે.
દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ડાયમંડ જ્યુબિલી કોન્ફરન્સમાં બોલતા ગોપીનાથે કહ્યું કે 2010થી શરૂ થયેલા દાયકામાં ભારતનો સરેરાશ વિકાસ દર 6.6 ટકા રહ્યો છે. પરંતુ રોજગાર દર 2 ટકા કરતા ઓછો છે. આવી સ્થિતિમાં ભારતનો રોજગાર દર G20 દેશો કરતા ઘણો ઓછો છે. તેમણે કહ્યું કે 2030 સુધીમાં લગભગ 6 કરોડથી 15 હજાર કરોડ વધારાની નોકરીઓ ઊભી કરવી પડશે.
IMFએ નાણાકીય વર્ષ 2025 માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન એપ્રિલમાં 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, જો છેલ્લા ત્રણ વર્ષમાં ભારતની સરેરાશ વૃદ્ધિ જોવામાં આવે તો તે 8.3 ટકા આવે છે. તેમણે ચાલુ વર્ષમાં 7.2 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ગીતા ગોપીનાથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નાણા મંત્રીએ કહ્યું કે ભારત IMF સાથે સહયોગને મજબૂત કરવા માટે વધારાના રસ્તાઓ શોધવા માટે તૈયાર છે. ગોપીનાથે ભારત અને IMF વચ્ચેના મજબૂત સંબંધોની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: માર્ક ઝકરબર્ગે પત્નીને એવી શું ભેટ આપી… ભારતથી લઈને અમેરિકા સુધી શરૂ થઈ ચર્ચા