ભારતમાં ઈલેક્ટ્રિક હાઈવે (Electric Highway) બનાવવાનો પ્રસ્તાવ છે. તેલ અને ગેસની મોંઘવારીને જોતા બસ અને ટ્રક જેવા ભારે વાહનોને વીજળી પર ચલાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ટ્રક અને બસો ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) જેવી હશે જેને હાઈવે પર ઓવરહેડ લગાવેલા ઈલેક્ટ્રિક કેબલ દ્વારા ચાર્જ કરી શકાશે. સરકારના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવ પર વિચારણા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) સોમવારે કહ્યું કે સરકાર સૌર ઉર્જા દ્વારા ઈલેક્ટ્રિક હાઈવેના વિકાસ પર કામ કરી રહી છે. આ પગલાથી ઉચ્ચ માલવાહક ક્ષમતા ધરાવતી ટ્રક અને બસોના ચાર્જિંગમાં સરળતા રહેશે.
ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર દેશની જાહેર પરિવહન વ્યવસ્થાને ઈલેક્ટ્રિક બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર ઈલેક્ટ્રિક વાહનો માટે સૌર અને પવન ઊર્જા આધારિત ચાર્જિંગ સિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે.
નીતિન ગડકરીએ કહ્યું અમે ઈલેક્ટ્રિક હાઈવેના વિકાસ પર પણ કામ કરી રહ્યા છીએ. તે સૌર ઉર્જાથી સંચાલિત થશે. આનાથી ભારે માલવાહક ક્ષમતા ધરાવતી ટ્રકો અને બસોને ચાર્જ કરવાની સુવિધા મળશે. ઈલેક્ટ્રીક હાઈવે એ એવા રસ્તાનો ઉલ્લેખ કરે છે જે તેના પર મુસાફરી કરતા વાહનોને વીજળી પૂરી પાડે છે. આમાં ઓવરહેડ પાવર લાઈન દ્વારા ઉર્જાનો પુરવઠો સામેલ છે.
ગડકરીએ કહ્યું કે રોડ મિનિસ્ટ્રી ટોલ પ્લાઝાને સૌર ઉર્જા પર ચલાવવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે. તેમણે કહ્યું કે સારી રીતે વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર આર્થિક પ્રવૃત્તિઓને વધારે છે, નવી કંપનીઓ બનાવે છે અને રોજગારીની તકોમાં વધારો કરે છે. અમે 26 નવા એક્સપ્રેસ વે બનાવી રહ્યા છીએ. ગડકરીએ કહ્યું કે પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાનની શરૂઆત સાથે પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી મળશે અને તેનાથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે ભારત અને અમેરિકા બંને કુદરતી ભાગીદાર છે. તેમણે યુએસના ખાનગી રોકાણકારોને ભારતના લોજિસ્ટિક્સ, રોપવે અને કેબલ કાર ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મંત્રીએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લગભગ ત્રણ કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને સરકાર હાઈવેના નિર્માણ અને વિસ્તરણ દરમિયાન વૃક્ષો વાવવાની પ્રથાને અનુસરી રહી છે. અત્યાર સુધીમાં સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટ્સમાં સફળતાપૂર્વક 27,000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. ગડકરીએ કહ્યું કે સરકાર વૃક્ષો કાપવા અને વાવવા માટે નવી નીતિ બનાવી રહી છે, જેનું નામ ટ્રી બેંક છે.