ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં 9.5 ટકા રહેશે ભારતનો ગ્રોથ રેટ
સ્વિસ બ્રોકરેજ કંપની યુબીએસ સિક્યોરિટીઝ ઈન્ડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાંકીય વર્ષના બીજા ભાગમાં વધુ વેગ પકડશે.
વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થતંત્ર (Indian Economy) 9.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. એક વિદેશી બ્રોકરેજ કંપનીના રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. ગત નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સ્વિસ બ્રોકરેજ કંપની યુબીએસ સિક્યોરિટીઝ ઈન્ડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં વધુ વેગ પકડશે. જોકે ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર આગામી નાણાકીય વર્ષ 2022-23માં ઘટીને 7.7 ટકા રહેશે.
સરકારે બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્રમાં 10.5 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે. જોકે, રિઝર્વ બેંકે તેના વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 9.5 ટકા કરી દીધું છે. મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં ગયા નાણાકીય વર્ષમાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો.
બીજા અર્ધવાર્ષિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થા વધુ વેગવંતી બનશે
યુબીએસ સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે દબાયેલી માંગ અને અનુકૂળ બાહ્ય માંગ બીજા અર્ધવાર્ષિક ગાળામાં ભારતીય અર્થતંત્રના વિકાસને વધુ વેગ આપશે. યુબીએસ સિક્યોરિટીઝ ઈન્ડિયાના ચીફ ઈકોનોમિસ્ટ તનવીર ગુપ્તા જૈને સોમવારે અહેવાલમાં જણાવ્યું હતું કે અમારું અનુમાન છે કે 2021-22માં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ની વાસ્તવિક વૃદ્ધિ 9.5 ટકા રહેશે. જોકે, આગામી નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર ઘટીને 7.7 ટકા થઈ જશે. અમારૂ અનુમાન છે કે દબાયેલી માંગ, અનુકૂળ બાહ્ય માંગ અને રસીકરણને કારણે ભારતીય અર્થતંત્ર બીજા ભાગમાં વધુ ઝડપથી વિકાસ કરશે.
8.5 ટકા રહેશે ગ્રોથ રેટ
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટનું અનુમાન 9.5 ટકા જાળવી રાખ્યું છે. જ્યારે આગામી વર્ષ 2022 માટે અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા રહેશે. ભારતમાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ દર હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે અમેરિકાથી આ દર 5.2 ટકા સુધી રહી શકે છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2026-27 સુધી ભારતીય અર્થવ્યવસ્થા 6.1 ટકાના દરે વૃદ્ધિ પામતી રહેશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અર્થતંત્રને લઈને આઈએમએફના નાણાકીય બાબતોના વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પાઓલો મૌરોએ જણાવ્યું હતું કે પુનરૂદ્ધાર તરફ આગળ વધવાની સાથે જાહેર રોકાણ પર ધ્યાન કેન્દ્રીત કરવુ પણ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ગ્રીન ઈન્વેસ્ટમેન્ટ પર જેથી સુધારા સમાવેશી અને પર્યાવરણને અનુકૂળ બની શકે.