Economic Survey 2020-21 LIVE: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં ઈકોનોમિક સર્વે રિપોર્ટ 2021 રજૂ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષ (2020-21) માં વૃદ્ધિ દર માઈનસ 7.7 ટકા રહેવાની ધારણા છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22નો વિકાસ દર 11 ટકા થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ઈકોનોમિક સર્વેના રિપોર્ટમાં જણાવાયું છે કે સંકટ હોવા છતાં કૃષિ એકમાત્ર ક્ષેત્ર છે, જ્યાં આ વર્ષે તેજી નોંધાઈ છે.
ન્યુઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ નિર્મલા સીતારમણનું ધ્યાન 2021માં બજેટ વિસ્તરણ પર રહેશે. આગામી નાણાકીય વર્ષમાં સારી વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બજેટમાં સરકાર વિનિવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત બજારમાંથી લોન પણ મોટા પ્રમાણમાં ઉભી કરવામાં આવશે જેથી ખર્ચને વેગ આપી શકાય.
એવું માનવામાં આવે છે કે 2021ના બજેટમાં નિર્મલા સીતારમણનો ભાર વૃદ્ધિ દરને વેગ આપવા પર રહેશે. આ વર્ષે નાણાકીય ખાધને નિયંત્રણમાં રાખવું સરકારની પ્રાથમિકતા રહેશે નહીં. વોલ સ્ટ્રીટ બ્રોકરેજની રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયાનો અંદાજ છે કે વર્તમાન નાણાકીય વર્ષ માટે સરકાર નાણાકીય ખાધનો અંદાજ 3.5 ટકાથી વધારીને 7.2 ટકા કરી શકે છે. નાણાકીય વર્ષ 2021-22 માટે આ અંદાજ જીડીપીના 5 ટકા રાખી શકાય છે.
આ પણ વાંચો: Rajkot: ટામેટાના પ્રતિ કિલો 3 થી 5 રૂપિયા મળતા ખેડૂતોમાં રોષ