ATMANIRBHAR BHARAT : દેશમાં આયાત ઘટી અને નિકાસ એટલી વધી કે ઓછા પડી રહ્યાં છે કન્ટેનર
વડાપ્રધાન મોદીએ દેશમાં ઉદ્યોગને આગળ વધારવા માટે ATMANIRBHAR BHARAT અભિયાનની શરૂઆત કરી હતી, જે હવે સફળ થતું જોવા મળી રહ્યું છે.
દેશમાં શરૂ થયેલ ATMANIRBHAR BHARAT અભિયાનથી ભારતને લાભ થતો જોવા મળી રહ્યો છે. દેશની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આયાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશમાં માલ-સામાન મોકલવા માટે મોટા કન્ટેનરની જરૂર પડે છે. જેમ જેમ નિકાસ વધી રહી છે, ભારતથી અન્ય દેશોમાં માલ એટલા મોટા પ્રમાણમાં જઈ રહ્યો છે કે માલ વહન કરતા કન્ટેનરની ભારે તંગી પડી છે.
1 લાખ નવા કન્ટેનર આવ્યા, છતાં અછત! આયાત-નિકાસની પ્રક્રિયામાં આ મોટા પરિવર્તનનું કારણ આત્મનિર્ભર ભારત અભિયાન છે. જે અંતર્ગત દેશમાં નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ દેશમાં ઉદ્યોગને આગળ વધારવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી હતી, જે હવે સફળ થતું જોવા મળી રહ્યું છે. શિપિંગના મહાનિદેશક અમિતાભ કુમારે જણાવ્યું કે દેશમાં લગભગ 15 લાખ કન્ટેનર છે. આત્મનિર્ભર ભારતને કારણે હવે આયાત ઓછી થઈ છે, જ્યારે નિકાસમાં ભારે તેજી જોવા મળી છે. અમે કન્ટેનરની અછત સામે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમારી પાસે હમણાં એક લાખ નવા કન્ટેનર આવ્યા છે, પરંતુ વધુ કન્ટેનરની જરૂર પડશે.
આયાત કરતા નિકાસ વધી ગઈ અગાઉ ભારતમાં આયાત વધારે હતી અને નિકાસ ઓછી હતી. જુલાઈ 2020 થી ડિસેમ્બર 2020 સુધીમાં ભારતમાં નિકાસમાં 18 ટકાનો વધારો થયો છે અને આયાતમાં 24 ટકાનો ઘટાડો થયો છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર જાન્યુઆરી 2021 માં ભારતની નિકાસમાં પણ 6.16 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં 10 થી 15 ટકા કન્ટેનર હંમેશાં ખાલી રહેતા હતા. શિપિંગના મહાનિદેશક અમિતાભ કુમારે કહ્યું કે અમારી પાસે ઘણાં કન્ટેનર ખાલી હતાં, પરંતુ ઓગસ્ટ 2020 થી સ્થિતિ બદલાઈ ગઈ છે અને નિકાસમાં એટલો વધારો થયો છે કે હવે કન્ટેનર ખૂટી પડ્યા છે.
કન્ટેનરની ભારે તંગીનું આ પણ એક કારણ શિપિંગ મંત્રાલયમાં કાર્યરત અધિકારીઓએ કહ્યું કે એક કન્ટેનરને ખાલી કરવામાં ઓનબોર્ડ 16 થી 24 કલાકનો સમય લાગે છે, જે કોરોના મહામારી શરૂ થતાં પાંચ દિવસનો થયો હતો, પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. કન્ટેનરની તંગીનું પણ આ એક કારણ છે. કોરોના મહામારીના કારણે વિશ્વમાં ફેક્ટરીઓનું ઉત્પાદન બંધ થયું અને તેની સીધી અસર કન્ટેનર ઉત્પાદકો પર પડી હતી અને સામે કન્ટેનરની માંગ અને પુરવઠામાં તફાવત વધ્યો હતો. જુલાઈ 2020 પહેલાં ખાલી કન્ટેનર દેશની બહાર મોકલવામાં આવતા હતા, પરંતુ જુલાઈ પછી દેશમાં ખાલી કન્ટેનરની માંગ વધી ગઈ છે.