હિન્દુ પંચાંગ અનુસાર પૂનમ તો વર્ષમાં બાર આવતી હોય છે. પરંતુ, તે સૌમાં જેઠ માસની પૂનમનું (jeth purnima) આગવું જ મહત્વ છે. કારણ કે આ દિવસે શ્રીકૃષ્ણના વિધ વિધ સ્વરૂપો પર મહાભિષેક કરવામાં આવે છે. જેઠ માસ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં થતો આ મહાભિષેક ‘જ્યેષ્ઠાભિષેક’ તરીકે ઓળખાય છે. એમાં પણ શ્રીકૃષ્ણ કળિયુગમાં સાક્ષાત જગન્નાથ સ્વરૂપે પૂજાતા હોઈ, જગન્નાથજીને જળાભિષેક કરવાનો વિશેષ મહિમા છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે શા માટે છે જ્યેષ્ઠાભિષેકનું અદકેરું જ મહત્વ ?
ઓડિસાના પુરીમાં જેઠ સુદ પૂર્ણિમાએ પ્રભુને નિજધામમાંથી બહાર લાવી સ્નાનમંડપમાં બિરાજમાન કરવામાં આવે છે. અને પછી 108 કુંભના જળથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. તો, અમદાવાદના જગન્નાથ મંદિરમાં આ દિવસે ભવ્ય જળયાત્રા નીકળે છે. પુરાણોમાં જેનું કળિયુગી ગંગા તરીકે વર્ણન છે તેવી સાબરમતી નદીની પૂજા કરવામાં આવે છે. પૂજન બાદ કળશમાં જળ ભરીને જળયાત્રા નીજધામ પરત ફરે છે. અને પછી મંદિરમાં પ્રભુ જગન્નાથજીનો 108 જળકુંભથી મહાભિષેક કરવામાં આવે છે.
પૌરાણિક કથા
વૈષ્ણવ પરંપરામાં આ જ્યેષ્ઠાભિષેકનું વિશેષ માહાત્મ્ય છે અને તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. પ્રચલિત કથા અનુસાર શ્રીકૃષ્ણ વ્રજવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. કહો કે વ્રજવાસીઓ માટે તો શ્રીકૃષ્ણ જ તેમનું જીવન હતા. ત્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલાં નંદબાબાને વિચાર આવ્યો કે, “આ જ યોગ્ય સમય છે કે હું મારા પુત્ર કૃષ્ણને મારી જગ્યાએ વ્રજનો રાજા બનાવી દઉં. તેનો રાજ્યાભિષેક કરી દઉં !”
નંદબાબાએ તેમના કુલગુરુ ગર્ગાચાર્યજી આગળ તેમનો વિચાર અભિવ્યક્ત કર્યો અને ગર્ગાચાર્યજીએ જેઠ સુદ પૂનમનું મુહૂર્ત કાઢી આપ્યું. શ્રીકૃષ્ણના રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓના જળ મંગાવવામાં આવ્યા. આખરે, જેઠ સુદ પૂર્ણિમાનો રૂડો અવસર આવી પહોંચ્યો. શ્રીકૃષ્ણએ આ દિવસે સફેદ ધોતી – ઉપરણું ધારણ કર્યા. ત્યારબાદ પવિત્ર નદીઓના જળથી તેમનો અભિષેક કરવામાં આવ્યો. આ સમયે ઋષિમુનિઓએ પુરુષસુક્તના મંત્રોચ્ચાર કર્યા અને અંતે શ્રીનંદરાયજીએ તેમના પુત્ર શ્રીકૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો.
શ્રીકૃષ્ણ પર થયેલો આ અભિષેક જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોઈ તે ‘જ્યેષ્ઠાભિષેક’ તરીકે પ્રસિદ્ધ થયો. આ અભિષેકથી ‘વ્રજકુંવર’ એ ‘વ્રજરાજ’ બન્યા હતા અને એટલે જ આ દિવસે દેવને જ્યેષ્ઠાભિષેક કરવાનો વિશેષ મહિમા છે. શ્રીકૃષ્ણ સંબંધી મોટાભાગના મંદિરોમાં જેઠ સુદ પૂનમે પ્રભુ પર જ્યેષ્ઠાભિષેક થાય જ છે તો સ્વયં શ્રીકૃષ્ણ જ કળિયુગમાં જગન્નાથજી સ્વરૂપે વિદ્યમાન હોઈ તેમના જ્યેષ્ઠાભિષેકનો સવિશેષ મહિમા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)