ભાદરવા મહિનાની સુદ પક્ષની આઠમની તિથિ એ દેવી રાધાનો (Radha) પ્રાગટ્ય દિવસ મનાય છે. સમગ્ર ભારતમાં અને ખાસ તો વ્રજ ભૂમિમાં ભક્તો હર્ષોલ્લાસ સાથે તેની ઉજવણી કરે છે. પણ, સૌથી મહત્વની વાત તો એ છે, કે આ દિવસ એ રાધારાણીની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ સર્વોત્તમ મનાય છે. એટલું જ નહીં, એક માન્યતા અનુસાર આ દિવસે જો કેટલાંક વિશેષ ઉપાય અજમાવવામાં આવે, તો વ્યક્તિને દેવામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. આવો, તે સંદર્ભે જ વાત કરીએ.
વાસ્તવમાં તો દેવી રાધા એ લક્ષ્મી સ્વરૂપા જ મનાય છે. એટલે જેમ લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ઘરમાં ધનનું, સમૃદ્ધિનું આગમન થાય છે, તે જ રીતે દેવી રાધાની આરાધના કરવાથી પણ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે કોઈ વિશેષ પૂજા પાઠ પણ નથી કરવાના. બસ, આસ્થા સાથે એક મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર નીચે મુજબ છે.
ફળદાયી મંત્ર
“ૐ હ્રીં રાધિકાયૈ નમઃ । ”
“ૐ હ્રીં શ્રીરાધાયૈ સ્વાહા ।”
માન્યતા અનુસાર ધનની પ્રાપ્તિ અર્થે ઉપરોક્ત બેમાંથી કોઈ પણ એક મંત્રનો આસ્થા સાથે જાપ કરી શકાય. આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. રાધાષ્ટમીથી શરૂ કરી નિત્ય તેના જાપ થઈ શકે તો તે વિશેષ લાભદાયી બની રહેશે. જો તે શક્ય ન હોય તો અઠવાડિયે એક વાર જરૂર પ્રયોગ કરવો.
ફળપ્રાપ્તિ
માન્યતા અનુસાર રાધાષ્ટમીએ આસ્થા સાથે જ્યારે આ મંત્રના જાપ કરવામાં આવે છે, ત્યારે દેવી રાધા અત્યંત પ્રસન્ન થાય છે. આખરે, એવાં સંજોગોનું નિર્માણ થાય છે કે, વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે અને સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ સ્થિર થશે. એક માન્યતા એવી છે કે જે રાધાષ્ટમીએ આસ્થા સાથે આ મંત્રના જાપ કરે છે, તેમના ઘરમાં ક્યારેય નાણાની ખોટ નથી વર્તાતી.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ જાણો જયપુરના મોતી ડૂંગરી ગણેશજીનો મહિમા, લાડુના પ્રસાદથી પ્રસન્ન થાય છે આ એકદંતા
આ પણ વાંચોઃ રાધાષ્ટમી પર જાણો કોણ છે શ્રી રાધા ? આ દિવસ સાથે જોડાયેલી મહત્વની વાતો