સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનું માત્ર એક સપનું જ નથી હોતું. પણ, તે આપણાં જ ભવિષ્ય સાથે જોડાયેલું હોય છે. કેટલીક વાર તો આપણે આપણાં જીવન પર પણ તેની અસર જોઈએ છીએ. માન્યતા અનુસાર સપનામાં દેખાનાર કેટલીક વસ્તુઓ આપણા ભવિષ્યમાં બનનાર ઘટનાઓ સાથે જોડાયેલી હોય છે.
આવાં સપનાઓ ઘણીવાર આપણને આવનારી મુસીબતો સામે ચેતવે છે. તો, કેટલાંક સપના આપણને એ નિર્દેશ કરે છે કે હવે તમારો સારો સમય ખૂબ જ નજીક છે ! એટલે કે, તમારા જીવનની મુસીબતો હવે દૂર થવાની છે, અને તમારો ભાગ્યોદય થવાનો છે. આવો, આજે આવા જ 5 સપના વિશે જાણીએ.
સપનામાં જો આપને આપના પિતૃઓ દેખાતા હોય તો મોટાભાગના લોકો પરેશાન થઇ જાય છે. પરંતુ, આ ઘટના ઘટવી એ કોઇ સામાન્ય વાત નથી. એ જ રીતે તે હંમેશા ચિંતાજનક પણ નથી. સપનામાં પિતૃઓના દર્શન થવાનો અર્થ એ છે કે હવે આપનો સારો સમય શરૂ થવા જઇ રહ્યો છે. એવા લોકો કે જેમને સપનામાં પિતૃઓ આવે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે. તેનો અર્થ એ છે કે આપના પૂર્વજોના આશીર્વાદ સદાય આપની સાથે છે.
જો કે, આ વસ્તુ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તમને તેમનો હસતો ચહેરો સપનામાં જોવા મળે. જો તમને સપનામાં દુ:ખી પિતૃઓ જોવા મળે તો તે તમારા ખરાબ સમયની શરૂઆત થવાનો સંકેત આપે છે. પણ, સામાન્ય રીતે હસતા પૂર્વજોના સપનામાં દર્શન એ આપના આવનારા શુભ સમયનો સંકેત છે.
જો તમે જીવનમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવ અને તે સમય દરમ્યાન તમને સપનામાં પશુ-પક્ષીઓ આપના ઘરના દરવાજા પર દેખાય તો સમજી લેજો કે તમારા સારા સમયની શરૂઆત થવા જઇ રહી છે. ખાસ કરીને જો ચકલી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને થોડા સમય માટે ત્યાં આરામ કરે છે તો તે આપના જીવનમાં સકારાત્મક પરિવર્તન થવાનો સંકેત આપે છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ચાલી રહેલી ખરાબ પરિસ્થિતિઓ પૂર્ણ થવાના આરે છે અને તમને દરેક જગ્યા પર સફળતા મળશે. તેમજ જલ્દી જ તમને જીવનમાં લાભ અને પ્રગતિના અવસર પ્રાપ્ત થશે.
જો તમે સપનામાં પોતાને જ મંદિરમાં પૂજા કરતા જુઓ છો અને તે દરમ્યાન આંખોમાંથી આંસુ આવવા લાગે છે તો આ એક શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે, તમે ભગવાનની સાથે જોડાઇ ગયા છો. આ એ વાતનો સંકેત છે કે ઇશ્વરે ખુદ તમને બોલાવ્યા છે અને તે ઇચ્છે છે કે તમે મંદિરમાં આવીને તેમના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવો. આ પ્રકારના સપના એવા સમયે આવે છે જ્યારે તમે ખૂબ જ પરેશાન હોવ. આવું સપનું તમને તમારી મુશ્કેલીઓના પૂર્ણ થવા તરફ ઈશારો કરે છે.
જો તમને સપનામાં કોઇ સાધુ સંતના દર્શન થઇ રહ્યા હોય તો સમજી લેજો કે તમારા દિવસો બદલાવાના છે અને તમારું સૂતેલું ભાગ્ય જાગશે ! સાધુ-સંતનું આપના સપનામાં આવવું એ ભગવાન તરફથી આપને મોકલવામાં આવેલ એક સંદેશ મનાય છે ! આ સપનાનો અર્થ એ છે કે આપના જીવનમાં કે ઘરમાં જે કોઇ પણ સમસ્યા ચાલી રહી છે તે નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ થવાની છે !
સપનામાં જો તમે તમારી જાત સાથે જ વાત કરતા જોવા મળો છો તો સમજી લેજો કે ઇશ્વર આપને અંતરમનની દૃષ્ટિથી કોઇ નવી દિશા દેખાડવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે જીવનની પરેશાનીઓ કેવી રીતે દૂર કરવી ! આ સપનાનો અર્થ એ છે કે ઇશ્વર તમારી સાથે છે અને આપના જીવનમાં આવનાર સમસ્યાઓ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે. તેમજ તેના માટેના રસ્તાઓ પણ આપને દેખાશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)