સુખી જીવન જીવવાની જડીબુટ્ટી એટલે ગૌતમ બુદ્ધના આ 12 અનમોલ વચન !
જીવનમાં હજારો લડાઇઓ જીતવાથી વધુ સારું એ છે કે તમે સ્વયં પોતાના પર વિજય પ્રાપ્ત કરો. પછી જીત હંમેશા તમારી જ થશે. તેને કોઇ તમારી પાસેથી છીનવી નહીં શકે.
ગૌતમ બુદ્ધે (gautam buddha) સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો, અને ભયંકર યુદ્ધોને અટકાવીને બુદ્ધત્વનો માર્ગ પ્રશસ્ત કર્યો. કહે છે કે વૈશાખી પૂર્ણિમાની તિથિએ ઈ.પૂ. 563માં નેપાળના લુંબિનીમાં (lumbini) તથાગત બુદ્ધનું પ્રાગટ્ય થયું હતું. તેમણે સમગ્ર દુનિયાને શાંતિ અને અહિંસાની મહત્તા સમજાવી. અને બૌદ્ધ ધર્મની (Buddhism) સ્થાપના કરી. ત્યારે આજે આપણે ભગવાન બુદ્ધના એ 12 અનમોલ વચન જાણીએ કે જે સુખી જીવનની જડીબુટ્ટી સમાન મનાય છે.
સુખી જીવનની જડીબુટ્ટી
⦁ બુદ્ધ કહે છે કે અતીત પર ધ્યાન ન આપો, ભવિષ્ય વિશે ન વિચારો, પોતાના મનને વર્તમાનની ક્ષણ પર કેન્દ્રિત કરો.
⦁ જે વ્યક્તિને જાણી જોઇને પણ જૂઠું બોલવામાં સંકોચ નથી થતો તે કોઇપણ પ્રકારનું પાપ કરી શકે છે. એટલે તમે પોતાના મનમાં નક્કી કરી લો કે તમે હસી મજાકમાં પણ ક્યારેય અસત્ય નહીં બોલો.
⦁ એ લોકો પણ કેવા છે જે સાંપ્રદાયિકતાના મતોમાં પડીને અનેક પ્રકારની દલીલો કરે છે અને સત્ય અસત્યનું પ્રતિપાદન કરે છે. અરે, જગતમાં સત્ય એક જ છે અનેક નહીં.
⦁ સત્યવાણી જ અમૃતવાણી છે. સત્યવાણી જ સનાતન ધર્મ છે. સત્ય, સદર્થ અને સધર્મ પર સંતો હંમેશા દૃઢ રહે છે.
⦁ અસત્યવાદી નરકગામી હોય છે અને તે નરકમાં જ જાય છે.
⦁ જે જાણી જાઇને અસત્ય બોલતા હોય છે તેમને કોઇપણ પ્રકારની શરમ નથી હોતી. તેનું સાધુપણું ખાલી ઘડા જેવું હોય છે. સાધુતા તો એક છાંટો જેટલી પણ તેમનામાં નથી હોતી.
⦁ સભામાં, પરિષદમાં અથવા તો એકાંતમાં કોઇની સાથે જૂઠું ન બોલવું. જૂઠું બોલવા માટે કોઇને પ્રેરિત ન કરો અને જુઠ્ઠુ બોલનારને પ્રોત્સાહિત ન કરો. અસત્યનો ત્યાગ કરવો જોઇએ.
⦁ જીવનમાં હજારો લડાઇઓ જીતવાથી સારુ એ છે કે તમે સ્વયં પોતાના પર વિજય પ્રાપ્ત કરો. પછી જીત હંમેશા તમારી જ થશે, તેને કોઇ તમારી પાસેથી છીનવી નહીં શકે.
⦁ હજારો ખોખલા શબ્દોથી એ એક શબ્દ વધારે સારો છે કે જે શાંતિ પ્રસરાવે.
⦁ સંતોષ મોટું ધન છે, વફાદારી સૌથી મોટો સંબંધ છે અને સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે.
⦁ આપણે જ્યારે પણ ક્રોધિત થઇએ છીએ ત્યારે સત્યનો માર્ગ છોડી દઇએ છીએ.
⦁ જો તમારે મોક્ષ મેળવવો છે તો પોતે જ મહેનત કરવી પડશે, બીજા પર આધારિત ન રહો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)