આપના ઘરની નકારાત્મક ઊર્જાનું શમન કરશે આ એક વૃક્ષનું જતન ! આજે જ લગાવો આપના ઘરે આ વૃક્ષ
શાસ્ત્રો અનુસાર શમીનું વૃક્ષ (Tree) ઘરમાં ઉગાડવાથી ઘરની આસપાસ રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે સાથે જ દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે. શનિવારના દિવસે શમી વૃક્ષની પૂજા કરીને તેની નીચે સરસવના તેલનો દીવો પ્રજવલિત કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળી જાય છે.
શનિવારના શનિદેવની પૂજા કરવા માટેનો ઉત્તમ દિવસ છે. આ દિવસે શનિદેવ અને હનુમાનજીની ઉપાસના કરનાર વ્યક્તિના દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે. શનિની સાડાસાતીથી પ્રભાવિત લોકોના કષ્ટો પણ દૂર થઇ જાય છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા અને દંડાધિકારી કહેવામાં આવ્યા છે. શનિદેવ પ્રત્યેક વ્યક્તિને તેના કર્મોના હિસાબે સારુ અને ખરાબ ફળ આપે છે. શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટેનો સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી શનિદેવની કૃપા આપ મેળવી શકો છો.
તેલથી અભિષેક
શનિદેવની પૂજામાં સરસવના તેલનું ખૂબ મહત્વ છે. શનિદેવને સરસવના તેલનો અભિષેક કરવો ખૂબ લાભદાયી માનવામાં આવે છે. સરસવનું તેલ અર્પણ કરવાથી સાડાસાતી અને પનોતીના કારણે આવી રહેલ મુસીબતોથી છુટકારો મળે છે અને રોકાયેલા કાર્યો પૂર્ણ થાય છે. આ ઉપાય કરવાથી સુખ-સમૃદ્ધિ, માન-સમ્માન અને ધન-યશની પ્રાપ્તિ થાય છે અને નોકરી-વ્યાપારમાં સફળતા મળે છે. શનિદેવને તેલ અર્પણ કરવાથી બજરંગબલીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
શમીના વૃક્ષની પૂજા
શમીનું વૃક્ષ ભગવાન શિવ અને શનિદેવ બંનેને અત્યંત પ્રિય માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શમીનું વૃક્ષ ઘરમાં ઉગાડવાથી ઘરની આસપાસ રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે સાથે જ દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે. શનિવારના દિવસે આ વૃક્ષની પૂજા કરીને તેની નીચે સરસવના તેલનો દીવો પ્રજવલિત કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળે છે અને વિવાહ સંબંધિત માંગલિક કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે. જે જાતકની કુંડળીમાં શનિગ્રહની સ્થિતિ નબળી હોય તેમણે શનિવારના દિવસે પોતાના ઘરે શમીનું વૃક્ષ રોપવું જોઇએ. તેનાથી આપના કાર્યોમાં આવનાર સંકટો દૂર થાય છે અને શનિદેવની કૃપા આપની પર બની રહે છે.
વાદળી રંગના પુષ્પ અર્પણ કરો
શાસ્ત્રો અનુસાર ભગવાન શનિને વાદળી રંગના પુષ્પ અતિ પ્રિય છે. એટલે શનિવારના દિવસે વાદળી રંગના પુષ્પ શનિદેવને અવશ્ય અર્પણ કરવા. અપરાજિતાના પુષ્પનો રંગ વાદળી હોય છે. આ પુષ્પ શનિદેવને ખૂબ પ્રિય છે. શનિવારના દિવસે 5, 7, 11 અપરાજિતાના પુષ્પ લઇને શનિદેવના ચરણોમાં અર્પણ કરવાથી શનિદેવ જલ્દી જ પ્રસન્ન થાય છે. આ રીતે જ જાંબલી રંગના આંકડાના પુષ્પ શનિદેવને અર્પણ કરવાથી આપને જલ્દી જ કોઇ શુભફળની પ્રાપ્તિ થશે.
પીપળાના વૃક્ષની પૂજા
ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે પીપળાના વૃક્ષમાં શનિદેવનો વાસ હોય છે. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી જાતકની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે સાથે જ ધન, સમૃદ્ધિ, યશ અને કીર્તીમાં પણ વૃદ્ધિ થાય છે. શનિવારની રાત્રે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રજવલિત કરવાથી જાતકના જીવનમાં દરેક પ્રકારની ખુશહાલી આવે છે.
અસહાય લોકોની મદદ કરવી
માન્યતા એવી છે કે આજના દિવસે જાતકે પોતાની શક્તિ અનુસાર ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઇએ. આ કાર્ય કરવાથી આપને ચમત્કારીક લાભની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા ચણા, કાળા તલ, અડદની દાળ અને શિયાળાની ઋતુમાં ઊનના કપડા દાન કરવાથી શનિદેવની કૃપાની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)