નાગપંચમીએ જાણો પાલનપુરના નાગણેજી માતાનો મહિમા, વર્ષમાં બે જ વખત ભક્તોને માતાના દર્શન !
એક શ્રાવણ વદ પંચમી અને બીજું આસો સુદ અષ્ટમી એટલે કે નાગપંચમી અને શારદીય નવરાત્રીની આઠમના રોજ અહીં ભક્તો નાગણેજી માતાના (Naganechi Mata) દર્શન કરી શકે છે. આ બે દિવસ સિવાય મંદિર બંધ જ રહે છે !
સમગ્ર શ્રાવણ માસ (shravan2022) એ ઉત્સવનો માસ બની રહેતો હોય છે. ત્યારે આ શ્રાવણ માસના વદ પક્ષમાં આવતી પંચમી તિથિનું પણ એક આગવું જ મહત્વ છે. આ તિથિ નાગપંચમી (Nag Panchami) તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસે નાગ દેવતાની પૂજા-આરાધનાનો મહિમા છે. ત્યારે અમારે આજે આપને ગુજરાતના પાલનપુરમાં વિદ્યમાન નાગણેજી માતાજીનો (Naganechi Mata) મહિમા જણાવવો છે. જેમના દર્શન માટે ભક્તો સમગ્ર વર્ષ આતુર રહેતા હોય છે. કારણ કે, આ મંદિર વર્ષમાં માત્ર બે જ વખત માતાજીના દર્શનાર્થે ખુલ્લુ મૂકાય છે !
500 વર્ષ પ્રાચીન સ્થાનક
પાલનપુરના રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાજીનું અત્યંત સુંદર મંદિર શોભાયમાન છે. એક શ્રાવણ વદ પંચમી અને બીજું આસો સુદ અષ્ટમી એટલે કે નાગપંચમી અને શારદીય નવરાત્રીની આઠમના રોજ અહીં ભક્તો નાગણેજી માતાના દર્શન કરી શકે છે. આ મંદિર 500 વર્ષથી પણ વધુ પ્રાચીન છે. કહે છે કે દેવી નાગણેજી તો અહીં નવાબોના કાળથી વિદ્યમાન થયા છે. એટલું જ નહીં, પાલનપુરના નવાબોને પણ નાગણેજી માતામાં આસ્થા હોવાની દંતકથા પ્રચલિત છે.
પાલનપુરમાં નાગણેજી માતાનું આગમન
પ્રચલિત કથા અનુસાર પાલનપુરનાં નવાબ મુઝાહીત ખાનના જાલૌરના રાજપૂત કુટુંબની દિકરી માનબાઇ સાથે લગ્ન થયેલા. જાલૌરથી માનબાઇ આણામાં અન્ય સામાન સાથે નાગણેજી માતાજીનું પુસ્તક પેટીમાં લાવેલા. પાલનપુરના નવાબે તે વખતના રાજમહેલના મધ્યભાગે રાજગઢીમાં ઘરમંદિર બનાવી માતાજીની સ્થાપના કરી. તે સમયે આસો મહિનાની આઠમના દિવસે રાત્રે યજ્ઞ કરતા અને રાજમહેલના રાણીવાસના જાળીવાળા ઝરૂખેથી રાણીઓ યજ્ઞના દર્શન અને પૂજન નિહાળતા. પૂર્વે આ મંદિર વર્ષમાં ફક્ત એક જ વાર આસો સુદ આઠમના દિવસે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાતું.
સંતાનના શુભાશિષ !
આ નાગણેજી માતાના પૂજન અર્ચન માટે સિદ્ધપુરથી એક બ્રાહ્મણવર્યની નવાબશ્રીએ નિયુક્તિ કરેલ. જે વંશ પરંપરાથી વિસનગર નિવાસી આચાર્ય ઇશ્વરભાઇ સંભાળી રહ્યા હતા. આ બ્રાહ્મણ કુટુંબને નવાબશ્રી તરફથી વર્ષાસન આપવામાં આવતું. આસો સુદ આઠમના દિવસે રાત્રે 21 નાળિયેરનો હવન હોમાદિ આચાર્ય પરિવાર તરફથી આજે પણ કરવામાં આવે છે. કહે છે કે જેને સંતાન ન થતુ હોય તેમને શુભાશિષ મળે તે માટે આચાર્ય ઈશ્વરભાઈએ તેમના ભાવદર્શનથી માતાજીને પ્રાર્થના કરી તેમની રજા લીધી. અને નાગપંચમીના રોજ સવારથી સાંજ સુધી મંદિર ખુલ્લુ મૂકવાની પ્રણાલી શરૂ થઈ. આ રીતે મંદિર વર્ષમાં બે વાર ખુલ્લુ રહેવા લાગ્યું.
જેમને સંતાન ન હોય તેવાં દંપતિ અતૂટ શ્રદ્ધા સાથે મા નાગણેજીના ચરણોમાં ભાવદર્શન કરે છે. અને કહે છે કે આસ્થા સાથે આવનારા શ્રદ્ધાળુઓના અધૂરાં કોડની મા પૂર્તિ પણ કરે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)