
સનાતન પરંપરામાં ભગવાન શિવના દરેક સ્વરૂપ, મુદ્રા અને પ્રતીક પાછળ એક ઊંડો આધ્યાત્મિક અને દાર્શનિક સંદેશ જોવા મળે છે. મહાદેવનું ‘નટરાજ સ્વરૂપ’ પણ આવું જ એક અદ્ભુત અને રહસ્યમય સ્વરૂપ છે. નૃત્યના અધિપતિ તરીકે નટરાજની પ્રતિમા માત્ર કળાનું પ્રતિક નથી, પરંતુ તેમાં સર્જન, સ્થિતિ, સંહાર, જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેના સંબંધનો સંદેશ પણ સમાયેલો છે.
નટરાજના રૂપને લઈને કલાકારો અને દાર્શનિકો ઉપરાંત વૈજ્ઞાનિક જગતમાં પણ લાંબા સમયથી રસ જોવા મળે છે. તેમની પ્રતિમામાં રહેલા દરેક પ્રતીકને અલગ-અલગ અર્થ સાથે જોડવામાં આવે છે. તો ચાલો સમજીએ કે નટરાજના તાંડવ પાછળનો સંદેશ શું છે અને તેમના પગ નીચે રહેલી અપસ્મારની આકૃતિ શું દર્શાવે છે.
‘નટરાજ’નો શાબ્દિક અર્થ થાય છે ‘નૃત્યના રાજા’ ભગવાન શિવનું આ સ્વરૂપ બ્રહ્માંડમાં ચાલતા સર્જન, પાલન અને સંહારના સતત ચક્રને દર્શાવે છે. હિંદુ દર્શન અનુસાર બ્રહ્માંડમાં કોઈ પણ પ્રક્રિયા સ્થિર નથી. સમયની સાથે પરિવર્તન સતત ચાલતું રહે છે. નટરાજનું તાંડવ પણ આ જ સતત ગતિ અને બ્રહ્માંડના ચક્રનું પ્રતિક માનવામાં આવે છે.
નટરાજની પ્રસિદ્ધ કાંસ્ય પ્રતિમા ભારતીય શિલ્પકળાનું ઉત્તમ ઉદાહરણ છે. બ્રહ્માંડની ગતિ અને ઊર્જાને સમજાવવા માટે નટરાજની આ છબીનો ઉલ્લેખ આધુનિક સમયમાં પણ થતો રહ્યો છે. તેનું એક જાણીતું ઉદાહરણ સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં આવેલા CERN સંકુલમાં સ્થાપિત નટરાજની પ્રતિમા છે.
નટરાજની પ્રતિમાને ધ્યાનથી જોવામાં આવે તો ભગવાન શિવ એક પગ નીચે એક નાની માનવાકૃતિને દબાવીને ઊભા જોવા મળે છે. આ આકૃતિને અપસ્માર અથવા મુયલક તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ પરંપરામાં અપસ્મારને માત્ર એક પાત્ર તરીકે નહીં, પરંતુ માનવ મનની કેટલીક નકારાત્મક વૃત્તિઓના પ્રતિક તરીકે જોવામાં આવે છે.
અપસ્મારને સામાન્ય રીતે અજ્ઞાન, અહંકાર, મૂર્ખતા અને માનસિક જડતા સાઅજ્ઞાન અને અહંકારનું પ્રતિકથે જોડવામાં આવે છે. મનુષ્ય જ્યારે પોતાના જ્ઞાન અને ચેતનાને ભૂલીને અહંકારમાં ફસાઈ જાય છે, ત્યારે તેના વિકાસમાં અવરોધ ઊભો થાય છે.
ભગવાન શિવનું અપસ્મારને પગ નીચે રાખવું એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. તેનો અર્થ એવો લેવામાં આવે છે કે જ્ઞાન અને જાગૃતિ દ્વારા અજ્ઞાન તથા અહંકાર પર નિયંત્રણ મેળવવું જરૂરી છે.જ્યાં સુધી મનુષ્ય પોતાના અંદરના અજ્ઞાન અને અહંકારને ઓળખીને તેના પર કાબૂ મેળવતો નથી, ત્યાં સુધી આત્મિક પ્રગતિનો માર્ગ સરળ બનતો નથી.
નટરાજની આ મુદ્રા જીવનમાં સંતુલનનું પણ પ્રતિક માનવામાં આવે છે. બહારની દુનિયામાં કેટલીય દોડધામ હોય, પરંતુ વ્યક્તિએ પોતાની બુદ્ધિ, ચેતના અને વિવેકને જાગૃત રાખવા જરૂરી છે. અર્થાત્, અજ્ઞાનને દબાવવું છે, પરંતુ જાગૃતિને જીવંત રાખવી છે.નટરાજનું સ્વરૂપ આ જ વિચારને સુંદર રીતે રજૂ કરે છે.
નટરાજની આસપાસ જોવા મળતું અગ્નિનું વિશાળ વર્તુળ ‘પ્રભામંડળ’ તરીકે ઓળખાય છે. આ અગ્નિચક્રને સમય, પરિવર્તન અને બ્રહ્માંડના સતત ચક્ર સાથે જોડવામાં આવે છે. સર્જનથી લઈને વિનાશ અને ફરી સર્જન સુધી ચાલતી પ્રક્રિયા અહીં પ્રતીકાત્મક રીતે રજૂ થાય છે. એટલે નટરાજની આસપાસનું અગ્નિચક્ર માત્ર શણગાર નથી, પરંતુ અસ્તિત્વની સતત ગતિનો સંકેત છે.
ભગવાન શિવના એક ઉપરના હાથમાં ડમરુ જોવા મળે છે. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ડમરુના નાદને સર્જનની શરૂઆત સાથે જોડવામાં આવે છે.તેમાંથી નીકળતો ધ્વનિ નાદ અને બ્રહ્માંડના સ્પંદનનું પ્રતિક માનવામાં આવે છે. આ રીતે ડમરુ સર્જન અને નવી શરૂઆત તરફ સંકેત કરે છે.
નટરાજના બીજા હાથમાં અગ્નિ દર્શાવવામાં આવે છે. આ અગ્નિને વિનાશ અને પરિવર્તન સાથે સંબંધિત માનવામાં આવે છે.સનાતન દર્શનમાં વિનાશનો અર્થ માત્ર અંત નથી. એક પ્રક્રિયાના પૂર્ણ થયા બાદ નવી રચના માટે માર્ગ તૈયાર થવો પણ તેનો એક ભાગ છે. તેથી નટરાજના હાથની અગ્નિ સર્જનના ચક્રમાં સંહારના મહત્વને દર્શાવે છે.
નટરાજના એક હાથની અભય મુદ્રા ભક્તોને આશ્વાસન અને નિર્ભયતાનો સંદેશ આપે છે. તેનો ભાવાર્થ એવો છે કે સત્ય, ધર્મ અને આત્મજ્ઞાનના માર્ગે ચાલનાર વ્યક્તિએ અનાવશ્યક ભયમાં જીવવાની જરૂર નથી. આ મુદ્રા આપણને યાદ અપાવે છે કે જીવનમાં પડકારો અને પરિવર્તનો આવતા રહે છે, પરંતુ આંતરિક વિશ્વાસ અને જાગૃતિ વ્યક્તિને મજબૂત બનાવે છે.
નટરાજની પ્રતિમાને માત્ર ભગવાન શિવના નૃત્યના સ્વરૂપ તરીકે જોવાને બદલે તેમાં છુપાયેલા પ્રતીકોને સમજીએ તો જીવન માટે અનેક સંદેશ મળે છે. ડમરુ સર્જનની શરૂઆત, અગ્નિ પરિવર્તન અને સંહાર, અગ્નિચક્ર સમય તથા બ્રહ્માંડની ગતિ અને પગ નીચેનો અપસ્માર અજ્ઞાન તથા અહંકાર પર નિયંત્રણનું પ્રતિક માનવામાં આવે છે.
આ રીતે નટરાજનું સ્વરૂપ આપણને સમજાવે છે કે જીવનમાં પરિવર્તન સતત ચાલતું રહે છે, પરંતુ સાચું જ્ઞાન, જાગૃતિ અને સંતુલન જ મનુષ્યને આગળ વધવાનો માર્ગ બતાવે છે.